એન્જિનિયર-મશીન બધું જ ફેલ..!! 170 વર્ષ જૂના ખડે હનુમાનજીની પ્રતિમા સહેજ પણ હલી નહીં
ઉજ્જૈનમાં હનુમાનજીની એક એવી પ્રતિમા છે, જેને હટાવવા માટે તંત્રએ પૂરો જોર લગાવી દીધો, પણ પ્રતિમા પોતાની જગ્યાએથી હલી જ નહીં. મોટા એન્જિનિયર બોલાવ્યા, આધુનિક મશીનો લગાવ્યા, અનેક રીતે પ્રયાસ કર્યો, છતાં હનુમાનજીની પ્રતિમા તલભાર પણ ખસી નહીં. વાત એવી છે કે સિંહસ્થ કુંભ 2028 પહેલાં ઉજ્જૈનમાં રસ્તા પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે. કંઠાલ ચોરાહાથી છત્રી ચોક એટલે કે મોટા સરાફા સુધીનો રસ્તો પહોળો કરવામાં આવી રહ્યો છે. આ કામમાં લગભગ 170 વર્ષ જૂના ખડે હનુમાન મંદિરનું ભવન પણ તોડી પાડવામાં આવ્યું, પરંતુ જ્યારે હનુમાનજીની પ્રતિમાને હટાવવાની વાત આવી ત્યારે આખું કામ અટકી ગયું છે.
મંદિરનું ભવન તોડી નાખવામાં આવ્યું, આસપાસનો ભાગ પણ હટાવી દેવામાં આવ્યો, પરંતુ હનુમાનજીની પ્રતિમા જાણે પોતાની જગ્યાએ અડીખમ ઊભી રહી છે. પ્રતિમાને કોઈ નુકસાન ન થાય એ માટે ઇન્દોરથી એન્જિનિયર અને ટેક્નિકલ નિષ્ણાતોની ટીમ પણ બોલાવવામાં આવી છે. બે દિવસ સુધી પ્રતિમાના પાયા અને નીચેના ભાગને સમજવામાં આવ્યો અને પછી તેને ખસેડવાના પ્રયાસો થયા, પરંતુ મશીન અને નિષ્ણાતોની મહેનત પછી પણ પ્રતિમા હલી નહીં. હવે તંત્ર પણ ઉતાવળમાં કોઈ પગલું ભરવા માંગતું નથી અને નિષ્ણાતો શું કહે છે તેના આધારે આગળનો નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યું છે.
પ્રતિમાની નીચે દોઢ ફૂટ સુધી ખોદકામ
હનુમાનજીની પ્રતિમા નીચે કેટલી ઊંડી છે અને તેનો પાયો કેવી રીતે બનાવવામાં આવ્યો છે એ જાણવા માટે તંત્રએ પ્રતિમાની નીચે આશરે દોઢ ફૂટ સુધી ખોદકામ પણ કર્યું છે. પ્રતિમા કઈ રીતે જમીનમાં બેસાડવામાં આવી છે અને નીચેનું બાંધકામ કેવું છે, એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે આ તપાસ પછી જ નક્કી થશે કે પ્રતિમાને કેવી રીતે ખસેડવી. તંત્રનું કહેવું છે કે પ્રતિમાને કોઈ નુકસાન ન થાય એ સૌથી પહેલી વાત છે. જો પ્રતિમાને ખસેડવામાં આવશે તો તેને ટંકી ચોક ખાતે સ્થાપિત કરવાની વાત ચાલી રહી છે.

શ્રદ્ધાળુઓએ કહ્યું- હવે હનુમાનજીને હાથ પણ ન લગાડતા
પ્રતિમાને હટાવવાના પ્રયાસની વાત સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનો સુધી પહોંચતા જ વિરોધ શરૂ થઈ ગયો. મંગળવારે સાંજે મોટી સંખ્યામાં લોકો મંદિર પાસે ભેગા થયા હતા. મહાઆરતી થઈ, ઢોલ-નગારા વાગ્યા અને હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે જ્યારે આટલા પ્રયાસો પછી પણ પ્રતિમા હલી નથી, તો તંત્રએ હવે તેને હટાવવાનો નિર્ણય ફરી વિચારવો જોઈએ. લોકો એમ પણ કહી રહ્યા છે કે રસ્તો પહોળો કરો, વિકાસનું કામ કરો, પણ હનુમાનજીની પ્રતિમા હટાવવી જ એકમાત્ર રસ્તો નથી.
આ પણ વાંચો : ભારતીય સ્ટાર ક્રિકેટર અભિષેક શર્મા સાથે બિઝનેસ વુમનનું નામ ચર્ચામાં
પૂજારીની માંગ- પહેલા લેખિતમાં ખાતરી આપો
મંદિરના પૂજારી સુલભ શાંતનુ શર્મા અને મંદિર સમિતિના સભ્યોએ પણ પ્રતિમા હટાવવાનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે મંદિરની બંને બાજુ પહેલેથી રસ્તો છે, તો તંત્રએ રસ્તાની ડિઝાઇન પર ફરી વિચાર કરવો જોઈએ. પૂજારીની માંગ છે કે જો પ્રતિમાને બીજી જગ્યાએ લઈ જવી જ હોય તો પહેલાં તંત્ર લેખિતમાં ખાતરી આપે કે પ્રતિમાને કોઈ નુકસાન નહીં થાય અને તેને સુરક્ષિત રીતે ટંકી ચોક ખાતે જ સ્થાપિત કરવામાં આવશે. આ ખાતરી મળ્યા પછી જ પ્રતિમા હટાવવાની મંજૂરી આપવામાં આવે.

મંદિર 170 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે
ઉજ્જૈનના ઇતિહાસ અને ધાર્મિક સ્થળોની જાણકારી ધરાવતા ભગવતી લાલ રાજપુરોહિતના જણાવ્યા પ્રમાણે આ મંદિર અને પ્રતિમા ઘણા વર્ષો જૂનાં છે. મંદિર આશરે 170 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. લાંબા સમયથી હનુમાનજીની પ્રતિમા પર સિંદૂર ચઢાવવામાં આવતું હોવાથી તેની મૂળ આકૃતિ હવે સ્પષ્ટ દેખાતી નથી. તેમ છતાં જૂના ઉજ્જૈનમાં આ મંદિર લોકો માટે આસ્થાનું જાણીતું સ્થળ રહ્યું છે. એટલે જ હવે મંદિર તોડ્યા પછી પણ હનુમાનજીની પ્રતિમા હટાવવાનો મામલો લોકોની આસ્થા સાથે જોડાઈ ગયો છે.
હનુમાનજી પોતાની જગ્યાએથી હલવા જ નથી માંગતા : ભક્તો
પ્રતિમાને હટાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ સ્થાનિક ભક્તોમાં એક અલગ જ વાત ચાલી રહી છે. ભક્તોનું કહેવું છે કે આટલા પ્રયાસો છતાં હનુમાનજીની પ્રતિમા પોતાની જગ્યાએથી હલી નથી, એટલે કદાચ ભગવાનની પણ ઈચ્છા નથી કે તેમને અહીંથી ખસેડવામાં આવે. બીજી તરફ તંત્ર અને ટેક્નિકલ નિષ્ણાતોનું કહેવું છે કે આ એક ટેક્નિકલ અને પાયાની સમસ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર રસ્તો પહોળો કરવાની કામગીરી પણ આગળ વધારે અને સાથે લોકોની આસ્થાને પણ ઠેસ ન પહોંચે, એવો રસ્તો કેવી રીતે કાઢે છે.
