દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ: આગામી દિવસોમાં હવામાનનો મિજાજ બદલાશે
ચોમાસુ હવે ધીમે ધીમે વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે હવામાન વિભાગે દેશના લાખો નાગરિકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે. મોન્સૂનની સત્તાવાર વિદાય પહેલાં દેશના અનેક ભાગોમાં વરસાદનો વધુ એક સક્રિય તબક્કો જોવા મળવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) ની ચેતવણી મુજબ, આગામી દિવસોમાં દેશના 21 જેટલા રાજ્યોમાં ભારે પવન, વીજળીના કડાકા અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે, જે ખેતી માટે અત્યંત ગુડ ન્યૂઝ સાબિત થશે.
9 થી 21 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ
હવામાન વિભાગની આગાહી અનુસાર, 9 થી 11 સપ્ટેમ્બર દરમિયાન દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય 12 થી 21 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં વરસાદનો વધુ એક સક્રિય તબક્કો જોવા મળશે. આ સમયગાળા દરમિયાન પડનાર વરસાદથી જમીનમાં જરૂરી ભેજ જળવાઈ રહેશે, જે પાકના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: ‘Quantum AI’ માં રોકાણના નામે અમદાવાદના નિવૃત્ત આર્મીમેન સાથે 46 લાખની છેતરપિંડી
ઉત્તર અને પહાડી રાજ્યોમાં હવામાનનો બદલાતો મિજાજ
દિલ્હી અને ઉત્તર પ્રદેશ: દિલ્હીમાં 11 સપ્ટેમ્બર સુધી 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની શક્યતા છે. જ્યારે યુપીના મેરઠ, કાનપુર, વારાણસી અને ગોરખપુર જેવા જિલ્લાઓમાં 70 થી 80 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે.
બિહાર અને ઝારખંડ: બિહારના પટના, ગયા અને મુઝફ્ફરપુર સહિત 21 જિલ્લાઓમાં 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ઝારખંડમાં પણ 10 સપ્ટેમ્બર સુધી વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી છે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ: પહાડી વિસ્તારોમાં મુસળધાર વરસાદને કારણે લેન્ડસ્લાઇડ (ભૂસ્ખલન)નું જોખમ વધી ગયું છે, જેને લઈને દહેરાદૂન, નૈનીતાલ, મનાલી અને શિમલામાં વિશેષ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને અન્ય રાજ્યોમાં એલર્ટ
રાજસ્થાનના જયપુર, ઉદયપુર અને કોટામાં 60 થી 70 કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશના ભોપાલ અને ઇન્દોરમાં પણ 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ ઉપરાંત છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. નોંધનીય છે કે આ વર્ષે અલ નીનોની અસરને કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતા 14% ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે આ નવો વરસાદી રાઉન્ડ રાહત રૂપ બનશે.
ચોમાસાના અંતિમ ચરણમાં આવી રહેલો આ સારો વરસાદ ખેડૂતોના પાક માટે વરદાનરૂપ સાબિત થશે. જોકે, ભારે પવન અને વાવાઝોડાની આગાહીને જોતાં નાગરિકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે.
