વગર મંજૂરીએ સ્કૂલ બંધ કરશો તો 20 લાખનો દંડ:ગુજરાત સરકારનું નવું બિલ લાવશે કડક નિયમો
ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક, શિસ્તબદ્ધ અને મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે વર્ષ ૧૯૭૨ના જૂના શિક્ષણ અધિનિયમમાં મોટા અને ઐતિહાસિક સુધારા કર્યા છે. આગામી વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ થનાર આ નવા સુધારા બિલથી નિયમો વિરુદ્ધ ચાલતી શાળાઓ અને મનમાની કરતા સંચાલકો પર સરકારનો ગાળિયો વધુ મજબૂત બનશે.
રજિસ્ટ્રેશન વગર સ્કૂલ ચલાવવા પર ₹10થી 15 લાખનો દંડ અને જેલ
નવા સુધારા બિલ અનુસાર, ગુજરાત શિક્ષણ બોર્ડમાં નોંધણી કે મંજૂરી મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે સ્કૂલ ચલાવનારા સંચાલકો સામે અત્યંત કડક પગલાં લેવામાં આવશે. અગાઉ આવા કેસોમાં માત્ર રૂ. ૧ થી ૨ લાખ સુધીના સામાન્ય દંડની જ જોગવાઈ હતી અને જેલની સજા નહોતી, પરંતુ હવે તેને વધારીને રૂ. ૧૦ થી ૧૫ લાખ સુધીનો દંડ અને ૧ થી ૨ વર્ષની જેલની સજાની સખત જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગેરકાયદે આચાર્ય કે શિક્ષકોની નિમણૂક કરવા પર પણ દંડની રકમ રૂ. ૧૦ હજારથી વધારીને સીધી રૂ. ૧૦ લાખ કરી દેવાઈ છે.
પૂર્વ મંજૂરી વિના સ્કૂલ બંધ કરનારને ₹20 લાખનો દંડ
નિયમ મુજબ કોઈપણ સંચાલકે શાળા બંધ કરવી હોય તો બોર્ડને ૬ મહિના અગાઉ નોટિસ આપીને પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. જો કોઈ સંચાલક આવી કોઈ પણ મંજૂરી કે નોટિસ વગર મનસ્વી રીતે સ્કૂલ બંધ કરી દેશે, તો તેને અગાઉના માત્ર રૂ. ૧ હજારના દંડના બદલે હવે સીધો રૂ. ૨૦ લાખનો મોટો દંડ અને જેલની સજા ફટકારવામાં આવશે. આ સાથે જ શિક્ષકોના રક્ષણ માટે પણ જોગવાઈ કરાઈ છે, જે મુજબ સંચાલકો વ્યાજબી કારણ વગર શિક્ષક કે આચાર્યને સસ્પેન્ડ નહીં કરી શકે અને બોર્ડે આ અંગે ૪૫ દિવસમાં નિર્ણય લેવો પડશે.
આ પણ વાંચો: છૂટકમાં 240 રૂપિયા કિલો!: ખાંડ-ડુંગળી બાદ હવે લીંબુ પણ મોંધા થયા
ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્લાર્કની ભરતીના નિયમો હવે સરકાર નક્કી કરશે
ધોરણ ૯ થી ૧૨ ની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય અને શિક્ષકોની ભરતી માટે અગાઉથી જ કેન્દ્રીયકૃત પદ્ધતિ અમલમાં છે. પરંતુ હવે ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી ક્લાર્ક (વર્ગ-૩ ના બિનશૈક્ષણિક સ્ટાફ) ની જગ્યાઓ તેમજ સ્પેશ્યલ એજ્યુકેટર્સની ભરતી માટેના નિયમો, પસંદગી પદ્ધતિ, કાર્યરીતિ અને લાયકાતો નક્કી કરવાની તમામ સત્તા પણ સરકાર હસ્તક રહેશે.
સ્પેશ્યલ એજ્યુકેટર્સનો સમાવેશ અને ગ્રાન્ટેડ સ્કૂલોને નવો દરજ્જો
મૂળ ૧૯૭૨ના બિલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ભણાવતા ‘સ્પેશ્યલ એજ્યુકેટર્સ’ નો કોઈ જ ઉલ્લેખ નહોતો, પરંતુ નવા બિલમાં તેમની ભરતી, લાયકાત અને નિમણૂંકને કાયદાકીય દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, અગાઉ ૧૯૭૨ના કાયદા હેઠળ ગ્રાન્ટેડ સ્કૂલોને ‘ખાનગી શાળાઓ’ તરીકે ગણવામાં આવતી હતી, પરંતુ હવે નવા સુધારા દ્વારા તેને ‘સરકાર સહાયિત’ શાળાઓ તરીકે ઓળખવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવનારું આ નવું શિક્ષણ સુધારા બિલ શિક્ષણ ક્ષેત્રમાં ચાલી આવતી અનિયમિતતાઓ અને મનમાનીને ડામવા માટે એક માસ્ટરસ્ટ્રોક સાબિત થશે. તેનાથી જ્યાં એક તરફ ગેરકાયદે ચાલતી શાળાઓ પર લગામ લાગશે, તો બીજી તરફ શિક્ષકો અને કર્મચારીઓના હિતોનું પણ સચોટ રક્ષણ થઈ શકશે.
