અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયા પરથી મુસાફરોનો વિશ્વાસ ઘટ્યો!
વિવાદાસ્પદ અને ગંભીર અકસ્માતો જ્યારે એવિએશન ક્ષેત્રે બને છે, ત્યારે તે માત્ર મુસાફરોના પ્રાણ જ નથી લેતા, પરંતુ એરલાઇન્સ કંપનીઓની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દે છે. અમદાવાદમાં બનેલી ભયાનક પ્લેન ક્રેશની ઘટના બાદ એર ઈન્ડિયાને પણ કંઈક આવા જ મોટા આર્થિક અને માનસિક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદ પ્લેન ક્રેશ અને એર ઈન્ડિયાની વિશ્વસનીયતા પર ફટકો
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ સર્જાયેલી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં 260 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આ ભયાનક અકસ્માત બાદ બ્રિટિશ મીડિયામાં પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ, એર ઈન્ડિયા પરથી મુસાફરોનો વિશ્વાસ ડગમગી ગયો છે. એટલું જ નહીં, કેટલાક મુસાફરોએ એવા ગંભીર આરોપો પણ લગાવ્યા છે કે દુર્ઘટના બાદ પણ સેફ્ટી સ્ટાન્ડર્ડના પાલનમાં કથિત રીતે ઢાંકપિછોડા કરવામાં આવ્યા છે.
ભારત-બ્રિટન રૂટ પર પેસેન્જર ટ્રાફિકમાં 18 થી 32 ટકાનો ઘટાડો
બ્રિટિશ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, આ દુર્ઘટનાની સીધી અસર એર ઈન્ડિયાના બિઝનેસ અને પેસેન્જર ટ્રાફિક પર પડી છે. વર્ષ 2025ના શરૂઆતના પાંચ મહિના (જાન્યુઆરીથી મે) અને જુલાઈ સુધી આ રૂટ પર સ્થિતિ ખૂબ સારી હતી અને ટ્રાફિકમાં 18 થી 32 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ 12 જૂનની દુર્ઘટના બાદ ટ્રાફિકનો આખો ટ્રેન્ડ બદલાઈ ગયો અને ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો.
આ પણ વાંચો: PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાતથી ભડક્યું અમેરિકા!
ઓગસ્ટ 2025: મુસાફરોની સંખ્યા ઘટીને 85,024 થઈ (અગાઉના વર્ષે 96,576 હતી).
સપ્ટેમ્બર 2025: આંકડો 1,00,559 થી ઘટીને 81,291 પર પહોંચ્યો.
ઓક્ટોબર 2025: મુસાફરોની સંખ્યામાં સીધો 14 ટકાનો ઘટાડો થયો, જે અગાઉ મહિને 1 લાખ સુધી પહોંચતી હતી તે ઘટીને 80 હજાર આસપાસ આવી ગઈ.
તપાસ રિપોર્ટ હવે અંતિમ તબક્કામાં: કેન્દ્રીય મંત્રી
આ કરુણ ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી સત્તાવાર અંતિમ રિપોર્ટ જાહેર થયો નથી. આ મા અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે અમદાવાદ અકસ્માતની તપાસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે અને ટૂંક સમયમાં જ તેનો વિગતવાર અહેવાલ જન સમક્ષ રજૂ કરવામાં આવશે.
આમ, અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાએ એર ઈન્ડિયાની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કરી દીધા છે, જેના કારણે ભારત-બ્રિટન રૂટ પર પેસેન્જર ટ્રાફિકમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. હવે સૌની નજર ટૂંક સમયમાં આવનારા સત્તાવાર તપાસ રિપોર્ટ પર છે, જે નક્કી કરશે કે એર ઈન્ડિયા ફરીથી મુસાફરોનો ખોવાયેલો વિશ્વાસ કેવી રીતે જીતે છે.
