ખાંડ પછી ડુંગળીના ભાવ આસમાને પહોંચતા પ્રજા ત્રાહિમામ: કિંમતો કાબૂમાં લેવા સરકારે દોડાવી ‘કાંદા એક્સપ્રેસ’!
રસોડાની રાણી ગણાતી ડુંગળી જ્યારે રડાવવા લાગે, ત્યારે સામાન્ય પરિવારનું માસિક બજેટ ખોરવાઈ જવું સ્વાભાવિક છે. મોંઘવારીના આ રાક્ષસે ફરી એકવાર સામાન્ય જનતાની ચિંતા વધારી દીધી છે. અગાઉ ખાંડના વધતા ભાવે ગૃહિણીઓની મુશ્કેલી વધારી હતી અને હવે ડુંગળીના ભાવો પણ રેકોર્ડ તોડ સપાટીએ પહોંચી ગયા છે. બજારમાં વધતી કિંમતો પર લગામ કસવા માટે હવે કેન્દ્ર સરકારે કમર કસી છે અને તાત્કાલિક ધોરણે ‘કાંદા એક્સપ્રેસ’ દોડાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
દેશભરમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ વધીને 42 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે, જે ગત વર્ષની સરખામણીએ અંદાજે 45 ટકા જેટલો વધારે છે. દેશના મોટા શહેરોની વાત કરીએ તો સ્થિતિ વધુ ચિંતાજનક છે. ગત શનિવારે ઉપભોક્તા વિભાગના આંકડા મુજબ દિલ્હીમાં ડુંગળીનો ભાવ 65 રૂપિયા પ્રતિ કિલો અને ચેન્નાઈમાં 58 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન દિલ્હીમાં ભાવ 35 રૂપિયા પ્રતિ કિલો હતો, એટલે કે એક જ વર્ષમાં ભાવ લગભગ બે ગણા થઈ ગયા છે. આસામ અને કેરળના કેટલાક વિસ્તારોમાં પણ ભાવ આસમાને પહોંચ્યા છે.
ભાવ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારનું મોટું પગલું: ‘કાંદા એક્સપ્રેસ’ શરૂ
ડુંગળીના વધતા ભાવો પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકારે બફર સ્ટોક માર્કેટમાં ઉતારવાની યોજના બનાવી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે સોમવારે મહારાષ્ટ્રના નાસિકથી દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી જેવા વધુ ભાવ ધરાવતા શહેરો માટે ખાસ ‘કાંદા એક્સપ્રેસ’ ટ્રેન ચલાવવામાં આવશે. અગાઉ ઓક્ટોબર 2024માં પણ સરકારે આવી જ રીતે ટ્રેનો દ્વારા ડુંગળી પહોંચાડીને બજારભાવ નિયંત્રિત કર્યા હતા. સરકારી એજન્સીઓનું માનવું છે કે તબક્કાવાર રીતે સપ્લાય વધારવાથી કૃત્રિમ રીતે ભાવ વધારનારા વેપારીઓ પર લગામ કસી શકાશે.
આ પણ વાંચો: રવીન્દ્ર જાડેજાનો ઐતિહાસિક કીર્તિમાન: કોહલી-અશ્વિનને પાછળ છોડી બન્યો પ્રથમ એશિયન ખેલાડી!
મહારાષ્ટ્રમાં ઉત્પાદન ઘટવું બન્યું ભાવવધારાનું મુખ્ય કારણ
ડુંગળીના ભાવમાં અચાનક આવેલા આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ ડુંગળી પકવતું અગ્રેસર રાજ્ય છે, પરંતુ ત્યાં ખરીફ ડુંગળીનું ઉત્પાદન અંદાજે 5 થી 7 ટકા ઘટ્યું છે. જો કે કૃષિ મંત્રાલયના અંદાજ મુજબ વર્ષ 2025-26 દરમિયાન કુલ ડુંગળીનું ઉત્પાદન આશરે 307 લાખ ટન રહેવાની સંભાવના છે, જે ગત વર્ષ જેટલું જ છે. એટલે કે કુલ ઉત્પાદનમાં કોઈ મોટો કડાકો નથી, પરંતુ સ્થાનિક સ્તરે સપ્લાયની અસમતુલા કિંમતોને અસર કરી રહી છે.
નાફેડ અને NCCF દ્વારા મોટા પ્રમાણમાં ખરીદી અને સંગ્રહ
સરકાર દ્વારા બફર સ્ટોક મજબૂત કરવા માટે નાફેડ (NAFED) અને એનસીસીએફ (NCCF) જેવી સહકારી એજન્સીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ એજન્સીઓએ અંદાજે 1.2 લાખ ટન ડુંગળીની ખરીદી કરી લીધી છે. ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ડુંગળી મળી રહે અને બજારમાં કટોકટી ન સર્જાય તે માટે સરકારે ખરીદ કિંમત વધારીને 2,645 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દીધી છે, જેથી કટોકટીના સમયે આ સ્ટોકનો ઉપયોગ કરી શકાય.
ખાંડના વધતા ભાવે પણ વધારી મુશ્કેલીઓ
માત્ર ડુંગળી જ નહીં, પરંતુ ખાંડના ભાવો પણ સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં સતત વધારો કરી રહ્યા છે. શનિવારે છૂટક બજારમાં ખાંડનો ભાવ વધીને 62.5 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો, જે એક મહિના અગાઉ આશરે 46 રૂપિયા હતો. એટલે કે માત્ર એક જ મહિનામાં ખાંડના ભાવમાં 28.5 ટકા સુધીનો વધારો નોંધાયો છે. જો કે ખાદ્ય મંત્રાલયનું સ્પષ્ટ કહેવું છે કે દેશમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, છતાં બજારમાં સતત વધતી કિંમતો ચિંતાનો વિષય બની છે.
ડુંગળી અને ખાંડ જેવી રોજિંદા વપરાશની આવશ્યક વસ્તુઓના ભાવમાં થઈ રહેલો સતત વધારો સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારના રસોડાનું ગણિત બગાડી રહ્યો છે. જો કે સરકાર દ્વારા ‘કાંદા એક્સપ્રેસ’ અને બફર સ્ટોકના માધ્યમથી બજારને નિયંત્રિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ આગામી દિવસોમાં આ પગલાં કેટલા કારગર સાબિત થાય છે અને ગૃહિણીઓને મોંઘવારીમાંથી કેટલી રાહત મળે છે તે જોવું રહ્યું.
