કોંગ્રેસ માત્ર બે જ અંતરાલ ગાશે તેવા નિર્ણય બાદ ગૃહમંત્રીએ આકરી ટીકા કરી; કહ્યું- રાષ્ટ્રીય એકતા માટે આખું ગીત ગાવું જરૂરી
તુષ્ટિકરણની રાજનીતિ થઈ રહી છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમના મુદ્દા પર કોંગ્રેસના વલણ પર કટાક્ષ કર્યો હતો અને આકરી ટીકા કરીને કહ્યું હતું કે કોંગ્રેસે રાષ્ટ્રગીત ના બે ટુકડા કર્યા છે. આ દેશ વિરોધી નિર્ણય છે. એમણે કહ્યું હતું કે ભાજપ કોંગ્રેસના નિર્ણયની નિંદા કરે છે. કારણ કે રાષ્ટ્રીય એકતા માટે આખું ગીત જરૂરી છે.
હકીકતમાં, કોંગ્રેસે બુધવારે કહ્યું હતું કે તે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને તે સમયના અન્ય અગ્રણી નેતાઓ દ્વારા 1937 માં વંદે માતરમ અંગે લેવામાં આવેલા નિર્ણયોનું સંપૂર્ણ પાલન કરશે. તે મુજબ, પાર્ટીના કાર્યકરો રાષ્ટ્રગીતના ફક્ત બે ભાગ જ ગાશે. વંદે માતરમ્ માં 6 અંતરા છે.
કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ 1937 ના CWCના ઠરાવના કેટલાક ભાગો પણ વાંચ્યા હતા જે મહાન નેતાઓની હાજરીમાં પસાર કરવામાં આવ્યો હતો અને જેમાં વંદે માતરમના બે ભાગ ગાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સ્કીન કેન્સરને પાછું આવતું રોકવામાં Moderna અને Merck ની mRNA વેક્સિન ટ્રાયલમાં સફળ
જોકે, અમિત શાહે ચેન્નાઈમાં સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં કોંગ્રેસના વંદે માતરમના ફક્ત બે અંતરાલ ગાવાના નિર્ણય અંગે કહ્યું હતું કે, ‘કોંગ્રેસે દેશ વિરુદ્ધ નિર્ણય લીધો છે. ભાજપ કોંગ્રેસના નિર્ણયની નિંદા કરે છે. કોંગ્રેસે લાખો શહીદોનું અપમાન કર્યું છે. રાષ્ટ્રીય એકતા માટે આખું ગીત જરૂરી છે.’ તેમણે કહ્યું કે 1937 માં કોંગ્રેસ દ્વારા લેવાયેલા નિર્ણયને 80 વર્ષ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુધાર્યો છે.
ભાજપ દેશભરમાં લોકો વચ્ચે જઈને કોંગ્રેસના નિર્ણયનો વિરોધ કરશે
અમિત શાહે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી ફરી એકવાર તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે. આ નિર્ણયથી કોંગ્રેસના તુષ્ટિકરણની પુષ્ટિ થઈ. તેઓ સંસદમાં પસાર થયેલા કાયદાને નકારે છે. પરંતુ હવે તુષ્ટિકરણની રાજનીતિ નહીં ચાલે. તેમણે કહ્યું કે ભાજપ જનતા વચ્ચે જઈને કોંગ્રેસના નિર્ણયનો વિરોધ કરશે. આ ગીતને આખું નહી ગાવું તે રાષ્ટ્રગીત અને દેશનું અપમાન જ છે.
