લદાખની હિમશીલાઓ બની કલાકૃતિ!
સફેદ રૂમની કેદમાંથી મુક્ત થઈને લદ્દાખના ૩૦૦૦ મીટર ઊંચા પહાડો પર પથરાયેલી ૨૩૦ કિલોમીટરની આર્ટ ગેલેરી!
બરાબર યાદ કરો, છેલ્લે તમે કોઈ પેઇન્ટિંગ કે શિલ્પ ક્યાં જોયું હતું? કદાચ શહેરની કોઈ આધુનિક આર્ટ ગેલેરીમાં. ચારેબાજુ સફેદ ચમકતી દીવાલો, પીળા હેલોજન લેમ્પનો પર્ફેક્ટ પ્રકાશ, ૨૪ કલાક ચાલતું AC અને ‘કૃપા કરીને અડકશો નહીં’ ની ચેતવણી આપતો એક સિક્યુરિટી ગાર્ડ! આપણે કલાને એક ટિપિકલ કાચના પાંજરામાં કેદ કરી દીધી છે, જ્યાં પ્રકાશ અને તાપમાન પણ મશીન નક્કી કરે છે. પણ માનવજાતની સૌથી પહેલી કલા આવી નિર્જીવ નહોતી; તે ભીમબેટકા કે અલ્તામીરાની અંધારી ગુફાઓમાં, ખરબચડા ખડકો પર અને ખુલ્લા આકાશ નીચે તોફાનો વચ્ચે શ્વાસ લેતી હતી. કલા કુદરતના ખોળે પણ પાંગરતી હતી, વિકસતી હતી.
હવે સદીઓ પછી પણ કલા ફરીથી પોતાના મૂળ સ્થાન પર પરત ફરી રહી છે. હવે ફરીથી કલા પોતાના બંધનો તોડી રહી છે. કારણ કે કોણે નક્કી કર્યું કે કલા માત્ર ચાર દીવાલોની વચ્ચે જ હોવી જોઈએ? લદ્દાખના નૈસર્ગિક લેન્ડસ્કેપમાં અત્યારે વિશ્વનું એક એવું આર્ટ પ્રદર્શન ચાલી રહ્યું છે, જ્યાં કોઈ ટિકિટ કાઉન્ટર નથી, પણ કલાને પામવા માટે તમારે પહાડો ઓળંગવાની કિંમત ચૂકવવી પડે છે!
અત્યારે, બરાબર આ જ ક્ષણે (૧ થી ૧૦ ઓગસ્ટ દરમિયાન), જમ્મુ-કાશ્મીરની પાર આવેલા લદ્દાખના હિમ આચ્છાદિત પહાડોમાં ‘sā લદ્દાખ બિએનાલે’ (sā Ladakh Biennale) નામની એક અદભુત આર્ટ ઇવેન્ટ ચાલી રહી છે. આ કોઈ સામાન્ય મ્યુઝિયમ નથી. આ એક એવું પ્રદર્શન છે જે લેહથી શરૂ થઈને કારગિલ સુધીના આશરે ૨૩૦ કિલોમીટરના વિશાળ પટ્ટામાં ફેલાયેલું છે. લિકિર, બાસગો, લામાયુરુ અને મુલબેખ જેવા અત્યંત દુર્ગમ ગામડાઓમાં, ખીણોમાં અને નદી કિનારે આર્ટિસ્ટોએ પોતાના કન્ટેમ્પરરી (સમકાલીન) આર્ટવર્કસ મૂક્યા છે.
આ ‘નોન-વ્હાઇટ ક્યુબ’ પ્રદર્શનની સૌથી મોટી ખૂબી એ છે કે અહીં મ્યુઝિયમનું બિલ્ડિંગ નથી, આખી પૃથ્વી અને આખું આકાશ જ એનું કેનવાસ છે. પણ આ માત્ર એક ભૌગોલિક ઘટના નથી, આ કલાના ઇતિહાસનો સૌથી મોટો મનોવૈજ્ઞાનિક અને ફિલોસોફિકલ બળવો કહી શકાય જે ભારતમાં આકાર લઈ રહ્યો છે.
‘ધ વ્હાઇટ ક્યુબ’ નું ષડયંત્ર: કલાને સામાન્ય જિંદગીથી કાપી નાખવાની રમત
ઇતિહાસ તપાસીએ તો સમજાય છે કે શરૂઆતમાં કલા એ માણસના રોજિંદા જીવનનો, પ્રકૃતિનો અને ધર્મનો હિસ્સો હતી. મંદિરોની કોતરણી હોય, ગુફાચિત્રો હોય કે શરીર પર ત્રોફાવેલા છૂંદણા (Tattoos) હોય—કલા માણસની સાથે ચાલતી હતી.
પરંતુ ૧૯મી અને ૨૦મી સદીમાં મૂડીવાદે ‘મ્યુઝિયમ’ નામની કલ્પના ઊભી કરી. મ્યુઝિયમે કલાને સામાન્ય જિંદગીથી અળગી કરી દીધી. એક મૂર્તિને તેના અસલી પહાડ કે જંગલમાંથી ઉખાડીને મ્યુઝિયમના એક સફેદ લાકડાના ટેબલ પર મૂકી દેવામાં આવી. મ્યુઝિયમ આપણને એ પણ શીખવે છે કે આપણે ક્યાં ઊભા રહેવું, ચિત્રથી કેટલું અંતર રાખવું અને તેને કયા એંગલથી જોવું! આ એક પ્રકારની કળાની ‘જેલ’ છે, જ્યાં આર્ટવર્ક તેના અસલી સંદર્ભ (ભૂગોળ અને સ્મૃતિ) થી કપાઈને સાવ એકલું પડી જાય છે. લદ્દાખનું આ પ્રદર્શન એ ‘જેલબ્રેક’ (જેલ તોડવાની ઘટના) છે.
લદ્દાખનું કાઉન્ટર-એટેક: જ્યારે પૃથ્વી પોતે જ આર્ટવર્ક બની જાય!
લદ્દાખ આખી પ્રક્રિયાને રિવર્સ કરી નાખે છે. સામાન્ય રીતે આપણે પ્રકૃતિમાંથી કોઈ પથ્થર કે લાકડું ઉઠાવીને તેને મ્યુઝિયમમાં મૂકીએ છીએ, જ્યારે લદ્દાખમાં કલાકાર દર્શકને કહે છે કે, “તમે મ્યુઝિયમમાંથી બહાર આવો અને કલાને માણવા માટે લેન્ડસ્કેપની અંદર પ્રવેશો!”
અહીં આર્ટવર્કસ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તેનો ‘કાર્બન ફૂટપ્રિન્ટ’ ઝીરો છે. તે માટી, પથ્થરો, પ્રાકૃતિક રંગો અને સૂર્યપ્રકાશ સાથે રિએક્ટ કરે છે. જ્યારે તમે કોઈ પથ્થર પર દોરેલું આર્ટવર્ક જોતા હોવ, ત્યારે તેની પાછળ દેખાતો અફાટ હિમાલય અને માથા પરથી પસાર થતું વાદળ પણ તે આર્ટવર્કનો જ હિસ્સો બની જાય છે. અહીં લાઇટિંગ માટે કોઈ સ્વીચ નથી, પણ સૂર્યના ઢળતા કિરણો જ પેઇન્ટિંગના રંગો બદલે છે.
દાર્શનિક ઊંચાઈ
આ સમગ્ર ઘટનાનો સૌથી રોમાંચક અને દાર્શનિક એંગલ એ છે કે—મ્યુઝિયમમાં કલા બહુ ‘સસ્તી’ અને ‘સુલભ’ છે. તમે ટિકિટ લીધી, AC રૂમમાં ગયા અને ૧૦ ડગલાં ચાલીને ‘મોનાલિસા’ જોઈ લીધી. મ્યુઝિયમ કલાને તમારી સમક્ષ નમાવે છે.
પરંતુ લદ્દાખમાં કલા તમારી સામે ઝૂકતી નથી! ૨૩૦ કિલોમીટરના એ નિર્જન અને કઠોર વિસ્તારમાં કોઈ એક આર્ટવર્ક સુધી પહોંચવા માટે તમારે પહાડ ચડવો પડે છે, પાતળી હવામાં શ્વાસ લેવા માટે સંઘર્ષ કરવો પડે છે અને પ્રકૃતિની થપાટો ખાવી પડે છે. લદ્દાખની કલા દર્શક સામે એક શરત મૂકે છે: “તારે મને જોવી હોય, તો પહેલા આ પહાડ ઓળંગ, આ નદી પાર કર અને એ સાબિત કર કે તું આ મુલાકાતને ‘લાયક’ છે!” અહીં મુકામ કરતાં તેની સફર વધુ મોટી છે. યાતના અને થાક વેઠ્યા પછી જ્યારે તમને એ કલાકૃતિ દેખાય છે, ત્યારે તમારા મગજમાં જે રસાયણો અર્થાત હોર્મોન્સ છૂટે છે, તે દુનિયાના કોઈપણ AC મ્યુઝિયમમાં ક્યારેય નથી છૂટતા.
આપણે કલાને નથી જોતા, કલા આપણને જુએ છે!
‘sā લદ્દાખ બિએનાલે’ એ માત્ર એક આર્ટ એક્ઝિબિશન નથી, તે માનવજાતના આત્માને ઢંઢોળવાનો પ્રયાસ છે. આપણે ભૂલી ગયા છીએ કે સાચું સૌંદર્ય એ કોઈ પીળા બલ્બના પ્રકાશમાં નહીં, પણ અસ્તિત્વના સંઘર્ષમાં છુપાયેલું છે. જ્યારે તમે ૩૦૦૦ મીટરની ઊંચાઈએ હાંફતા-હાંફતા કોઈ આર્ટવર્ક પાસે ઊભા રહો છો, ત્યારે તમને અહેસાસ થાય છે કે તમે એ કલાકૃતિને નથી જોઈ રહ્યા, પરંતુ એ કલાકૃતિ પાછળ ઊભેલો પહાડ, એ ખીણ અને એ આકાશ—તમારા વામણા અસ્તિત્વને જોઈ રહ્યું છે! કલા જ્યારે દીવાલોમાંથી મુક્ત થાય છે, ત્યારે તે માણસના અહંકારને સૌથી સચોટ રીતે તોડી પાડે છે.
‘લેન્ડ આર્ટ’ અને માનવ-મનોવિજ્ઞાનની અદભુત વાતો
‘ધ વ્હાઇટ ક્યુબ’ની સાયકોલોજી: આયરિશ આર્ટ ક્રિટિક બ્રાયન ઓ’ડોહર્ટી (Brian O’Doherty) એ ૧૯૭૬ માં સૌપ્રથમ ‘ઇનસાઇડ ધ વ્હાઇટ ક્યુબ’ સિદ્ધાંત આપ્યો હતો. તેમણે સાબિત કર્યું હતું કે મ્યુઝિયમની સફેદ દીવાલો દર્શકના મગજમાંથી ‘સમય અને જગ્યા’નો અહેસાસ ભૂંસી નાખે છે. આ એક પ્રકારની ક્લિનિકલ સાયકોલોજીકલ ટ્રિક છે, જેથી તમારું ધ્યાન માત્ર એ વસ્તુ પર જ રહે જે મૂડીવાદ તમને વેચવા માંગે છે.
લેન્ડ આર્ટની ફિલોસોફી: ભૂંસાઈ જવા માટેનું સર્જન! લદ્દાખ જેવા લેન્ડ આર્ટ પ્રોજેક્ટ્સની સૌથી સુંદર વિડંબના એ છે કે તે ‘અમર’ થવા માટે બનાવવામાં આવતા. મ્યુઝિયમમાં પેઇન્ટિંગ્સને સદીઓ સુધી સાચવવા કેમિકલ્સ વપરાય છે, જ્યારે લદ્દાખના આ આર્ટવર્કસ બરફ, વરસાદ અને પવનોની થપાટ ખાઈને અમુક સમય પછી પોતાની જાતે જ નાશ પામશે અને પ્રકૃતિમાં ભળી જશે. આ ‘અનિશ્ચિતતા’ (Ephemeral nature) જ તેની સાચી સુંદરતા છે.
હાઈ-ઓલ્ટિટ્યુડ એસ્થેટિક્સ: મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે માણસ ૩૦૦૦ મીટર કે તેથી વધુ ઊંચાઈ પર હોય છે, ત્યારે ઓક્સિજનના ઘટતા સ્તરને કારણે તેના મગજની કામગીરી (Altered states of consciousness) બદલાઈ જાય છે. માટે તેવી સ્થિતિમાં સામાન્ય દરિયાઈ સપાટી કરતા વસ્તુઓનો વધુ તીવ્રતાથી, વધુ ઈમોશનલી અને વધુ આધ્યાત્મિક અનુભવ થાય છે. એટલે કે, પહાડ પર કલા માત્ર આંખને જ નહીં, સીધી નર્વસ સિસ્ટમને હિટ કરે છે!
