હિમાચલ પ્રદેશ અને આસામમાં વરસાદ-પૂરથી હાહાકાર, 200થી વધુના મોત અને કરોડોનું નુકસાન
આકાશમાંથી વરસતી આફત અને પહાડો પરથી ખસતી ધરાએ ભારે તારાજી સર્જી છે. ઉત્તર ભારતના પહાડી રાજ્યોથી લઈને પૂર્વના આસામ સુધી વરસાદ, પૂર અને ભૂસ્ખલને (Landslide) જનજીવનને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. હિમાચલ પ્રદેશ અને આસામમાં કુદરતી કહેરને કારણે અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકોના જીવ ગયા છે, જ્યારે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. હવામાન વિભાગ (IMD) ની ચેતવણીએ આગામી દિવસો માટે ચિંતા વધુ વધારી દીધી છે.
હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને વરસાદથી હાહાકાર
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ચૂકી છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને રાજ્યને અંદાજે ૮૩૪ કરોડ રૂપિયા નું મોટું આર્થિક નુકસାନ થયું છે. શનિવારે સવારે ચંબામાં એક બસ ખીણમાં ખાબકવાની દુર્ઘટનામાં ૨ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સતત વરસાદના કારણે વાહનોના ફસાવવા અને અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: UPI પેમેન્ટને લઈ પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) નો ખુલાસો!!!
પ્રભાવિત રસ્તાઓ અને ખોરવાયેલું જનજીવન
ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં ૧૬૨ જેટલા રસ્તાઓ બંધ થઈ જવાથી લોકોની અવરજવર મુશ્કેલ બની ગઈ છે. આ ઉપરાંત, અંદાજે ૧૦૫ ટ્રાન્સફોર્મર બગડી જવાથી વીજળી અને પાણીની પૂરવઠા વ્યવસ્થા પણ ઠપ થઈ ગઈ છે. મંડી જિલ્લામાં પઠાણકોટ-મંડી રાષ્ટ્રીય રાજમાર્ગ પર ઉરલા પાસે ભૂસ્ખલનને કારણે સાડા ચાર કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો, જેને મશીનરીની મદદથી પૂર્વવત કરવામાં આવ્યો હતો.
દેશના અન્ય રાજ્યોમાં IMD નું ભારે વરસાદનું એલર્ટ
હવામાનની સક્રિયતા વચ્ચે ભારત હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઉત્તરાખંડ અને પંજાબ સહિત અનેક રાજ્યો માટે ભારે વરસાદ અને તોફાની પવનોનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે આગામી ૩ દિવસ સુધી પૂર્વ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક જિલ્લાઓમાં ૬૦ થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે તેજ પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આસામમાં પૂરની ગંભીર અને વિકટ સ્થિતિ
પહાડી રાજ્યોની સાથે-સાથે આસામમાં પણ પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બનેલી છે. સત્તાવાર બુલેટિન મુજબ આસામમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને ૯૮ સુધી પહોંચી ગયો છે. રાજ્યના ૧૩ જિલ્લાઓ અને ૪૬૪ જેટલા ગામડાઓ પૂરના પાણીથી પ્રભાવિત થયા છે, જેના કારણે લગભગ ૧.૫૫ લાખ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રશાસન દ્વારા પ્રભાવિત લોકોને સમયસર રાહત અને સહાય પૂરી પાડવા માટે બચાવ કામગીરી સતત ચલાવવામાં આવી રહી છે.
