ISROમાંથી પલાયન રોકવા સરકાર એક્શનમાં! ગગનયાનના વૈજ્ઞાનિકોનું રાજીનામું હવે સીધું PMO જશે
ભારતના અભિમાન ગણાતા ISROમાંથી વૈજ્ઞાનિકોના મોટા પાયે પલાયનને કારણે સરકાર ચિંતામાં મુકાઈ છે. છેલ્લા 1 વર્ષમાં 100થી 120થી વધુ વૈજ્ઞાનિકો અને ટેકનિકલ સ્ટાફે ISRO છોડીને પ્રાઇવેટ સ્પેસ કંપનીઓનો રસ્તો અપનાવ્યો છે. ગગનયાન અને ચંદ્રયાન-3 જેવા મહત્વના મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર્સ પણ સામેલ હોવાથી અવકાશ વિભાગે 14 જુલાઈએ કડક આદેશ જારી કર્યો છે. હવે રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો રાજીનામું કે VRS લઈ શકશે નહીં. દરેક અરજીનો અંતિમ નિર્ણય સીધો અવકાશ વિભાગ કરશે.
કેટલા વૈજ્ઞાનિકોએ છોડ્યું ISRO?
સત્તાવાર આંકડા જાહેર ન થયા હોવા છતાં સૂત્રોના જણાવ્યા મુજબ સ્થિતિ ચિંતાજનક છે.
UR રાવ સેટેલાઇટ સેન્ટર, બેંગલુરુ: લગભગ 80 વૈજ્ઞાનિકોએ રાજીનામું આપ્યું. તેમાં SpaDeXના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ચંદ્રયાન-3ના પ્રોજેક્ટ મેનેજર આદિત્ય રલ્લાપલ્લીનો સમાવેશ.
VSSC, તિરુવનંતપુરમ: 4577 કર્મચારીવાળા આ સૌથી મોટા સેન્ટરમાંથી 20થી વધુએ રાજીનામું આપ્યું. LVM-3ના પ્રોજેક્ટ ડાયરેક્ટર વિક્ટર જોસેફ પણ તેમાં છે.
સૂત્રો કહે છે કે આંકડો હજુ વધી શકે છે કારણ કે અનેક કેસ પ્રોસેસમાં છે.
આ પણ વાંચો: સસ્તું થયું સોનું-ચાંદી, ખરીદદારોમાં ખુશી
સરકારનો નવો કડક આદેશ શું છે?
અવકાશ વિભાગે તમામ ISRO કેન્દ્રોને મોકલેલા આંતરિક મેમોરેન્ડમમાં સ્પષ્ટ કહ્યું છે:
1. રાજીનામા- VRS પર પ્રતિબંધ: ગગનયાન અને અન્ય રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા ‘ગ્રુપ A’ વૈજ્ઞાનિકોનું રાજીનામું કે સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી સ્થાનિક સ્તરે મંજૂર નહીં થાય.
2. હેડક્વાર્ટર નક્કી કરશે: દરેક કેસની ભલામણ સાથે ફાઇલ સીધી અવકાશ વિભાગને મોકલવી પડશે. પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજીનામું સ્વીકારાશે નહીં.
3. હેતુ: મિશનની વચ્ચે વૈજ્ઞાનિકોના અચાનક જવાથી ગગનયાન જેવા પ્રોજેક્ટ્સને થતા નુકસાનને રોકવાનો.
ISROના અધ્યક્ષ વી. નારાયણને આને “સામાન્ય વહીવટી પ્રક્રિયા” ગણાવી છે.
વૈજ્ઞાનિકો ISRO કેમ છોડી રહ્યા છે?
નિષ્ણાતોના મતે 4 મુખ્ય કારણો છે:
પગાર અને પેકેજ: પ્રાઇવેટ સ્પેસ કંપનીઓ ISRO કરતા 3-4 ગણો પગાર અને શેર-ઓપ્શન આપી રહી છે.
ઝડપી પ્રમોશન અને ઓછી અમલદારશાહી: પ્રાઇવેટમાં નિર્ણય ઝડપી લેવાય છે અને યુવાનોને વધુ સ્વતંત્રતા મળે છે.
સારું Work-Life Balance: ISROમાં મિશનના દબાણને કારણે કામનો બોજ વધુ.
સંસ્કૃતિમાં ફેરફાર: કેટલાક વૈજ્ઞાનિકોને લાગે છે કે પહેલા જેવી નવીન વિચારોની સ્વતંત્રતા અને કદર હવે ઓછી થઈ છે.
ગગનયાન અને ભવિષ્ય પર અસર
ગગનયાન ભારતનું પહેલું માનવ અવકાશ મિશન છે. તેમાં અત્યંત કુશળ અને અનુભવી ટીમની જરૂર છે. જો મધ્યમાં વૈજ્ઞાનિકો છોડે તો મિશન વિલંબમાં પડી શકે છે. સરકારનું કહેવું છે કે ISRO મજબૂત રહેશે તો જ ખાનગી સ્પેસ કંપનીઓ પણ વિકસી શકશે, કારણ કે તેઓ ISROની ટેકનોલોજી પર જ નિર્ભર છે.
સરકારે હાલમાં “બ્રેક” લગાવીને પલાયન રોકવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ નિષ્ણાતો માને છે કે લાંબા ગાળે પગાર, પ્રમોશન અને કાર્ય-સંસ્કૃતિમાં સુધારા કર્યા વિના આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે. ISROને ફરીથી યુવા વૈજ્ઞાનિકો માટે “સપનાનું સ્થળ” બનાવવું એ જ અસલી પડકાર છે.
