પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સહિત વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું
રાજ્યના અગ્રણી આઇટી અને ફાઇનાન્સિયલ હબ તરીકે વિકસી રહેલા ગિફ્ટ સિટીમાં આવેલી ટેક મહિન્દ્રા કંપની ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરતી મેળામાં કંપની દ્વારા વિવિધ વિભાગોની કુલ ૫૦ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રોજગાર મેળામાં કસ્ટમર સપોર્ટ એસોસિયેટની જગ્યા માટે સ્થાનિક સ્તરના ૬૭ લાયક ઉમેદવારોએ ભાગ લીધો હતો. ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, કૌશલ્ય અને ઇન્ટરવ્યૂના આધારે ૪૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
મેળા દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરીના યંગ પ્રોફેશનલે ઉપસ્થિત યુવાનોને ખાનગી ક્ષેત્રમાં ઉપલબ્ધ રોજગારની તકો અંગે માહિતી આપી હતી. સાથે જ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, માય ભારત પોર્ટલ, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અને પીએમ ઇન્ટર્નશિપ યોજના સહિતની વિવિધ સરકારી પહેલ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રોજગાર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારની રોજગાર અને કૌશલ્ય વિકાસલક્ષી યોજનાઓનો લાભ લઈ યુવાનો પોતાની કારકિર્દીને નવી દિશા આપી શકે છે. રોજગાર મેળા જેવા પ્રયાસો દ્વારા ઉદ્યોગો અને રોજગાર શોધી રહેલા યુવાનો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થઈ રહ્યો છે, જેના પરિણામે સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકોમાં વધારો થઈ રહ્યો છે.
