અયોધ્યાના ચઢાવામાં ચોરી મામલે સુપ્રીમ કોર્ટમાં PIL, સ્વતંત્ર SIT અને રેકોર્ડ સીલ કરવાની માંગ
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મળેલા દાન અને ચઢાવામાં કથિત હેરાફેરીના ગંભીર આરોપો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલાની ગંભીરતા જોતાં સુનાવણી માટે સંમતિ આપી છે. CJI સૂર્યકાંતની અધ્યક્ષતામાં 3 જજોની ખાસ બેંચ આગામી 13 જુલાઈ, સોમવારે આ PIL પર સુનાવણી હાથ ધરશે. અરજદારોએ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર SIT તપાસ અને દાન સંબંધિત તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવાની માગ કરી છે.
CJI સૂર્યકાંતની બેંચ કરશે સુનાવણી
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચ 13 જુલાઈએ આ મામલાની સુનાવણી કરશે. આ બેંચમાં CJI સૂર્યકાંતની સાથે જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.એસ. મોહન પણ સામેલ રહેશે.
વકીલ અજય કુમાર રાય અને દિનેશ કુમાર યાદવ દ્વારા દાખલ કરાયેલી મુખ્ય PILની સાથે RJD સાંસદ સુધાકર સિંહની અલગ અરજી પર પણ કોર્ટ સંયુક્ત સુનાવણી કરશે.
આ પણ વાંચો: 12થી 15 જુલાઈ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદના ચાન્સ ઓછા, 16થી ફરી સક્રિય થશે
અરજદારોની મુખ્ય માગ: સ્વતંત્ર SIT અને કોર્ટની દેખરેખ
PILમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રામ મંદિરના નિર્માણ માટે મળેલા દાન અને ચઢાવામાં મોટા પાયે ઉચાપત અને ચોરી થઈ છે. અરજદારોએ માગ કરી છે કે આ કેસની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ માટે CBIના નેતૃત્વમાં કોર્ટની સીધી દેખરેખ હેઠળ સ્વતંત્ર SITની રચના કરવામાં આવે.
હાલમાં આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસે FIR નોંધી છે અને યુપી પોલીસની SITએ વચગાળાનો અહેવાલ પણ સોંપ્યો છે. પરંતુ અરજદારોનું કહેવું છે કે રાજ્ય પોલીસની તપાસથી ન્યાય નહીં મળે.
રેકોર્ડ અને CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાની વિનંતી
અરજીમાં SCને વચગાળાનો આદેશ આપવા પણ કહેવામાં આવ્યું છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી દાન સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજો સુરક્ષિત રાખવામાં આવે.
અરજદારોની માગ મુજબ બેંક ખાતાની વિગતો, ડોનેશન રજિસ્ટર, ઓડિટ રિપોર્ટ, કોમ્પ્યુટર ડેટા અને મંદિર પરિસરના CCTV ફૂટેજને સીલ કરીને સુરક્ષિત રાખવા જોઈએ. જેથી તપાસ દરમિયાન કોઈ પુરાવા સાથે છેડછાડ કે તેનો નાશ ન થાય.
ટ્રસ્ટના ઓડિટ માટે પણ માંગ
અરજદારોએ ભવિષ્યમાં આવી ગેરરીતિ ન થાય તે માટે ઉત્તર પ્રદેશ સરકાર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને નિર્દેશ આપવાની માંગ પણ કરી છે. જેમાં ટ્રસ્ટની નાણાકીય બાબતો અને સંપત્તિઓનું મજબૂત અને નિયમિત ઓડિટ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની વાત સામેલ છે. હવે 13 જુલાઈએ સુપ્રીમ કોર્ટની બેંચ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.
