વિદ્યાર્થીને સારવાર આપી પોલીસ ફરિયાદ કરવાના બદલે વિદ્યાર્થી નેતાને કરી રજૂઆત
રાજકોટના કોઠારિયા રોડ પર શિક્ષણ જગતને શર્માસાર કરતી ઘટના પ્રકામાં આવી છે. પટેલ ક્લાસીસમાં ટ્યુશનમાં જતા ધોરણ ૧૦ના વિદ્યાર્થીને સામાન્ય બાબતે શિક્ષકે ફડાકા ઝીંકી પીવીસી પાઈપથી માર માર્યાના આક્ષેપ સાથે વિદ્યાર્થીએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોલીસ ફરિયાદ કરવાના બદલે વાલીઓએ કોંગ્રેસના નેતા સમક્ષ ફરિયાદ કરતાં આખો મામલો બહાર આવ્યો છે. જ્યારે શિક્ષકે ફડાકો માર્યાનો સ્વીકાર કરતા કહ્યું હતું કે વાલીએ જ બાળક તોફાન કરે તો દંડાત્મક કાર્યવાહી કરવા કહ્યું હોવાનું જણાવ્યું છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર રહેતો તન્મય હરસોરા ધો.૧૦માં અભ્યાસ કરતો હોય કોઠારિયા રોડ પર આવેલ પટેલ ક્લાસીસમાં ટ્યુશનમાં જતો હતો.
મંગળવારે સાંજે ચાલુ ટ્યુશન ક્લાસીસમાં કુરકુરે ખાવા જેવી નજીવી બાબતે પટેલ ક્લાસીસના સંચાલક શિક્ષક તુષાર રાયચુરાનો પીતો છટકતા વિદ્યાર્થીને પ્રથમ ફડાકા માર્યા બાદ પ્લાસ્ટીકના પાઈપથી બેઠકના ભાગે માર માર્યો હતો.
શિક્ષકે અસહ્ય માર માર્યાની અને બેઠકના ભાગે ઈજા થઈ હોવાની વિદ્યાર્થીએ ઘરે જઈ વાલીને ફરિયાદ કરતા બુધવારે સવારે વિદ્યાર્થીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
આ પણ વાંચો: દિલ્હી-દુબઈનું 1 લાખનું ભાડું 1.25 લાખે પહોંચશે
આ ઘટના અંગે પોલીસને જાણ કરવાની કે ફરિયાદ કરવાના બદલે વિદ્યાર્થીના પિતા અજયભાઈ હરસોરાએ કોંગ્રેસ અગ્રણી અને વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત સમક્ષ શિક્ષક વિરૂધ્ધ ફરિયાદ-રજૂઆત કરી છે.
વિદ્યાર્થી નેતાના જણાવ્યા પ્રમાણે ટ્યુશન ક્લાસમાં બ્રેકના સમે વિદ્યાર્થી તન્મય હરસોરા કુરકુરે ખાતો હોય જે જોઈ જતાં શિક્ષકે નજીવી બાબતે માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે.
બીજીબાજુ `વોઈસ ઓફ ડે’ ન્યૂઝ દ્વારા શિક્ષક તુષાર રાયચુરાનો સંપર્ક કરતાં તેઓએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી ચાલુ ક્લાસીસે અભ્યાસ કરવાના બદલે કુરકુરે ખાઈ વિદ્યાર્થીઓ પર ઉડાડતો હોય જેના કારણે ફડાકો માર્યો હોવાનો સ્વીકાર કર્યો હતો.
શિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે વાલી વિદ્યાર્થીને ક્લાસીસમાં મુકવા આવ્યા ત્યારે તોફાન કરે તો દંડાત્મક કાર્યવાહી કરવાની છૂટ આપી હોવાનો બચાવ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થીને પીવીસી પાઈપ વડે માર માર્યાનો ઈનકાર કર્યો હતો.
વિદ્યાર્થી બે દિવસથી સ્કૂલે જઈ શક્યો નથી
કોઠારિયા રોડ પર આવેલ પટેલ ક્લાસીસના બે મહિનાથી ધો.૧૦ના ટ્યુશનમાં જતા તન્મય હરસોરા નામના વિદ્યાર્થીને શિક્ષકે અસહ્ય માર માર્યો હતો. વિદ્યાર્થીએ પોતાની આપવિતિ વર્ણવતા જણાવ્યું હતું કે, શિક્ષક તુષાર રાયચુરાએ નજીવી બાબતે ફડાકો માર્યા બાદ પ્લાસ્ટિકના પાઈપથી પગ, બેઠક અને હાથમાં માર માર્યો હતો જેમાં જમણા હાથની આંગળી બેવડી વળી ગઈ હોવાનું પણ જણાવ્યું છે જેના કારણે બે દિવસથી વિદ્યાર્થી સ્કૂલે પણ જઈ શક્યો નથી.
