રામ મંદિર દાન; રૂપિયા 3500 રોકડ, દાગીનાઓનો રેકોર્ડ જ ગુમ
2020માં ઓડિટ પેઢીએ ખામી અને ભ્રષ્ટાચારની ભીતિ વ્યક્ત કરી હતી; મેનેજમેન્ટને બિનજવાબદાર ગણાવી રેકોર્ડ માટે સૂચન કર્યા હતા જેનો અમલ થયો નહી
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ચડાવવામાં આવેલા કરોડો રૂપિયાનું રોકડ દાન અને સોના-ચાંદીના દાગીનામાં હેરાફેરીનો મામલો વધુ પેચીદો બની રહ્યો છે અને નવા ધડાકા થઈ રહ્યા છે . આ વચ્ચે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચનાના ગણતરીના મહિનાઓ બાદ, નવેમ્બર 2020માં એક ખાનગી ઓડિટ ફર્મે તેના મેનેજમેન્ટને અત્યંત બિન-વ્યાવસાયિક એટલે કે બિનજવાબદાર ગણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે અહીં દાનનો કોઈ વ્યવસ્થિત રેકોર્ડ રાખવામાં નથી આવી રહ્યો. દરમિયાનમાં રૂપિયા 3500 કરોડ રોકડ અને સોના-ચાંદીના દાગીનાનો રેકોર્ડ પણ ગુમ હોવાની વાત બહાર આવી છે.
6 વર્ષ પહેલાં આપવામાં આવેલી આ ચેતવણી અને એક મજબૂત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવાની ભલામણને ટ્રસ્ટ દ્વારા અભરાઈએ ચડાવી દેવામાં આવી હતી, જેનું પરિણામ આજે આ મોટા વિવાદ સ્વરૂપે સામે આવ્યું છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમએ મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારને પોતાનો પ્રારંભિક તપાસ અહેવાલ સોંપી દીધો હતો.
આ પણ વાંચો: ભારતીય સૈનિકોને યુક્રેન મોકલવાના વેન્સના સૂચનને ટ્રમ્પે ફગાવી દીધું
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરનારા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ 5 ફેબ્રુઆરી 2020ના રોજ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં દાગીના જેવી વસ્તુઓ સિવાય માત્ર રોકડ દાન તરીકે જ ટ્રસ્ટને અંદાજે 3,500 કરોડ રૂપિયા મળ્યા હોવાનું અનુમાન છે.
એક અહેવાલ પ્રમાણે ટ્રસ્ટના જ એક ટોચના અધિકારીની વિનંતી પર નવેમ્બર 2020માં એક પ્રતિષ્ઠિત ખાનગી ઓડિટ ફર્મે ઈન્ટરનલ ઓડિટ અને રિસ્ક મેનેજમેન્ટને લઈને એક વિગતવાર સમીક્ષા અહેવાલ સોંપ્યો હતો. આ અહેવાલમાં ગંભીર ખામીઓને ઉજાગર કરવામાં આવી હતી.
જવાબદારી નક્કી કરવા માટે કોઈ વ્યવસ્થા પહેલેથી જ નહતી!
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, કામગીરીના સ્તરે મેનેજમેન્ટની કોઈ સ્પષ્ટ રૂપરેખા નથી. ડેટા મેનેજમેન્ટ અને સ્ટાફ અત્યંત બિન-વ્યાવસાયિક છે, જેના કારણે ભ્રામક અને શંકાસ્પદ માહિતી સામે આવી શકે છે. વ્યવહાર અથવા ડેટા એન્ટ્રીના કોઈ પણ સ્તરે સેકન્ડ કે થર્ડ ચેકની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી. જવાબદારી નક્કી કરવા માટે કોઈ સંગઠિત માળખું નહોતું.
