વિદેશી ફંડ મેળવતી NGO માટે નવા કડક નિયમો: સરકારે ગાળિયો કસ્યો
સરકાર માન્ય યાદીમાંથી જ હેતુ પસંદ કરવાનું ફરજિયાત
વિદેશી ફંડ મેળવતી બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ) માટે કેન્દ્ર સરકારે ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) હેઠળના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. હવે વિદેશી સહાય મેળવવા ઇચ્છતી સંસ્થાઓએ અરજી વખતે પોતાના કાર્યનો ચોક્કસ હેતુ તેમજ કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવૃત્તિઓ હાથ ધરવાની છે તેની સ્પષ્ટ માહિતી આપવી પડશે. ગૃહ મંત્રાલયે બહાર પાડેલી સૂચના મુજબ વિદેશી નાણાંના ઉપયોગમાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આ સુધારા કરવામાં આવ્યા છે.
નવા નિયમો હેઠળ સંસ્થાઓએ સરકાર દ્વારા નક્કી કરાયેલી યાદીમાંથી જ પોતાના હેતુઓ પસંદ કરવા પડશે. અગાઉ નોંધાયેલ તમામ સંસ્થાઓને પણ એક વર્ષની અંદર પોતાના માન્ય હેતુઓ અને કાર્યક્ષેત્ર અંગે સરકારને જાણ કરવી પડશે. વિદેશી નાગરિકોને મુખ્ય હોદ્દેદાર તરીકે ધરાવતી સંસ્થાઓને નોંધણી અથવા પૂર્વ મંજૂરી આપવાના મામલે પણ કેન્દ્રે કડક વલણ અપનાવ્યું છે. ઉપરાંત સોશિયલ મીડિયા એકાઉન્ટ, અંતિમ દાતા (અલ્ટિમેટ ડોનર) અને પ્રવૃત્તિ અહેવાલોની માહિતી આપવી ફરજિયાત બનાવાઈ છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી આવતા મહિને 3 દેશોની યાત્રા કરી શકે છે
સરકારે નિષ્ક્રિય સંસ્થાઓ પર પણ લગામ કસતા છેલ્લા બે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 10 લાખ વિદેશી ફંડ નિર્ધારિત પ્રવૃત્તિઓ પર ખર્ચ્યા હોવા જોઈએ તેવી શરત મૂકી છે. પૂર્વ મંજૂરી હેઠળ મળતા હપ્તાઓમાં પણ અગાઉ મળેલી રકમના 75 ટકા ઉપયોગ બાદ જ આગામી હપ્તો મંજૂર થશે.
ધાર્મિક હેતુ માટે પણ નિયમોમાં ફેરફાર
નવા નિયમોમાં ધાર્મિક પ્રવૃત્તિઓને માન્ય હેતુ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં ધાર્મિક સ્થળોના નિર્માણ, સમારકામ અને જાળવણી, ધાર્મિક શિક્ષણ, ભક્તિસંગીતના પ્રચાર અને આધ્યાત્મિક કાર્યક્રમો જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક શિક્ષણ, આદિવાસી અને પરંપરાગત આસ્થાઓના સંરક્ષણ, ધાર્મિક પરંપરાઓના દસ્તાવેજીકરણ તથા સત્સંગ-પ્રવચન જેવી પ્રવૃત્તિઓમાં ધર્માંતરણ (પ્રોસેલિટાઇઝેશન) સામેલ ન હોવું જોઈએ. એટલે કે ધાર્મિક કાર્ય માટે વિદેશી ફંડનો ઉપયોગ થઈ શકશે, પરંતુ તેનો ઉપયોગ ધર્મપરિવર્તન પ્રોત્સાહિત કરવા માટે કરી શકાશે નહીં.
