મકાન-દુકાનોની ઐતિહાસિક તોડફોડ’ વખતે કરાયેલી ‘પેટપૂજા’ના ખર્ચની દરખાસ્ત પર આજે નિર્ણય
૪૦૦૦ નંગ આદું-લીંબુંના સરબતની બોટલ ગટગટાવાઈ, કાજુકતરી, ખજૂરરોલ, ખમણ, સમોસા, વેફર્સ, ચા-કોફીના ૧૫૦ પેકેટ ઓહિયા
૫૦ પેકેટ ગાંઠિયા-જલેબી-પૌવા અને ચાના ઉપડ્યા: તા.૨૧ ફેબ્રુ.થી ૧૦ માર્ચ સુધીમાં નાસ્તા-ભોજન-ચાનો કુલ ૨૭.૨૦ લાખનો ખર્ચ
ગત ૨૩ ફેબ્રુઆરી-૨૦૨૬ના મહાપાલિકા તેમજ પોલીસ તંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી રાજકોટના અત્યંત સંવેદનશીલ ગણાતા વોર્ડ નં.૧૬ના જંગલેશ્વરમાં ગેરકાયદે બની ગયેલા ૧૩૦૦થી વધુ મકાન-દુકાન ઉપર બૂલડોઝર ફેરવી દઈ અબજો રૂપિયાની જગ્યા દબાણમુક્ત કરાવી હતી. આ ડિમોલિશન પ્રક્રિયાને સાડા ત્રણ મહિના પસાર થઈ ગયા બાદ હવે આ ઓપરેશન દરમિયાન અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી `પેટપૂજા’ મતલબ કે નાસ્તા, ભોજન, કોલ્ડ્રીંક્સ સહિતના ખર્ચની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને કરવામાં આવતા આજે બુધવારે તેના ઉપર નિર્ણય લેવામાં આવશે. દરખાસ્તમાં જણાવ્યા પ્રમાણે ડિમોલિશનની કામગીરી દરમિયાન ૨૦૮૦૦ ચા તેમજ ૧૩૩૯૦ ડીશ ભોજનનો `ઉપાડ’ થવા પામ્યો હતો !
દરખાસ્તમાં જણાવ્યા પ્રમાણે તા.૨૧ ફેબ્રુઆરી-૨૦૨૬થી તા.૧૦ માર્ચ-૨૦૨૬ સુધીના દિવસો દરમિયાન ડિમોલિશનની કામગીરી ચાલી હતી. આ પ્રમાણે એકમાત્ર આરાધના-ટી પાસેથી તા.૨૧ અને ૨૨ ફેબ્રુ. દરમિયાન ૩૬૦૦ નંગ ચા, તા.૨૩ ફેબ્રુ.ના ૮૭૫૦ નંગ ચા તેમજ ચા-બીસ્કીટ, ૨૪ ફેબ્રુ.એ ૫૦૫૦ નંગ ચા અને ચા-બિસ્કીટ, ૨૫ ફેબ્રુ.એ ૧૫૦ નંગ કાજુકતરી, ખજૂરરોલ, ખમણ, સમોસા, વેફર્સ, ચા-કોફી, ૨ માર્ચે ૩૪૦૦ નંગ ચા, ૧૦ માર્ચે ૫૦ નંગ ગાંઠિયા, જલેબી, પૌવા અને ચાના પેકેટ, એ જ દિવસે ૫૪૦ નંગ બ્રેકફાસ્ટ સહિતના પેકેટ તૈયાર કરાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ૨૧ ફેબ્રુઆરીએ પ્રેમવતી ચેરિટેબલ ટ્રસ્ટ પાસેથી ૬૫૦ નંગ સ્પેશિયલ લંચડીશ+મસાલા છાશ, ૨૨ ફેબ્રુઆરીએ સ્પેશિયલ લંચડીશ+મસાલા છાશ, ૨૩ ફેબ્રુઆરીએ ૯૨૦૦ નંગ સ્પેશિયલ લંચડિશ+મસાલા છાશ, ૪૦૦૦ નંગ આદું-લીંબુના સરબતની બોટલ, ૨૫ ફેબ્રુઆરીએ ૧૦૦૦ નંગ સ્પેશિયલ લંચડિશ+મસાલા છાશ, ૨૫ ફેબ્રુઆરીએ સ્પેશિયલ લંચડિશ+મસાલા છાશ, ૨૬ ફેબ્રુઆરીએ ૧૧૦૦ નંગ લંચડિશ+મસાલા છાશ અને ૨૭ ફેબ્રુઆરીએ ૩૪૦ નંગ સ્પેશિયલ લંચડિશ+મસાલા છાશ મંગાવવામાં આવી હતી. આ પ્રમાણે ડિમોલિશનની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન નાસ્તા, ભોજન સહિતના પાછળ કુલ ૨૭,૨૦,૯૪૬ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો: રાજકોટ જિલ્લામાં ડિજિટલ કરન્સી આધારીત અનાજ વિતરણ માટે E-kycની કામગીરી પૂર્ણ
હવે આજે બુધવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે જેમાં આ દરખાસ્ત ઉપર બારિકાઈથી અભ્યાસ કર્યા બાદ ચેરમેન દ્વારા નિર્ણય લેવામાં આવશે.
વડાપ્રધાનના સોમનાથ કાર્યક્રમ દરમિયાન મનપાએ મોકલેલા ફૂડપેકેટનો ખર્ચ ૪.૪૯ લાખ
ગત ૧૧ મેએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથની મુલાકાતે આવ્યા હતા અને અહીં સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાજકોટથી પણ મોટી સંખ્યામાં લોકો ગયા હોય તેમના માટે પૌવા, ચવાણુ, ભાખરી, ચટણી, સોનપાપડીના ૪૧૦૦ પેકેટ અને ૨૦૦ એમએલ જીરા સોડાની ૪૧૦૦ બોટલ તૈયાર કરવામાં આવી હતી જેનો ૪.૪૯ લાખ ખર્ચ થયો હોય જેને મંજૂરી આપવા અંગે આજે કમિટી નિર્ણય લેશે.
