NEET લીક રોકવા કેન્દ્રનો સર્જિકલ સ્ટ્રાઈક: ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ
NEET UG 2026ની પુનઃપરીક્ષા પહેલાં કેન્દ્ર સરકારનો કડક નિર્ણય. પેપર લીકના આરોપો બાદ સરકારે ટેલિગ્રામ એપ પર અસ્થાયી પ્રતિબંધ મૂકી દીધો છે. IT એક્ટ 2000ની કલમ 69A હેઠળ લેવાયેલા આ નિર્ણયથી ભારતમાં 22 જૂન 2026 સુધી ટેલિગ્રામની એક્સેસ મર્યાદિત રહેશે. એટલું જ નહીં, 30 જૂન સુધી મેસેજ એડિટ કરવાનું ફીચર પણ બંધ કરી દેવાયું છે. કારણ એક જ – પેપર લીક અને છેતરપિંડી અટકાવીને 21 જૂનની NEET રિ-એક્ઝામને સંપૂર્ણ પારદર્શી બનાવવી.
NEET પરીક્ષાના પ્રશ્નપત્રો ટેલિગ્રામની ચેનલો-ગ્રુપ્સમાં લીક થવાની ફરિયાદો બાદ NTAની ભલામણ પર કેન્દ્ર સરકારે આ મોટું પગલું ભર્યું છે. ટેલિગ્રામના એન્ક્રિપ્ટેડ અને ઝડપી મેસેજ ફોરવર્ડિંગ માળખાને કારણે નકલી પેપર લીકની ઘટનાઓ વધી હતી.
આ પણ વાંચો: યુધ્ધ બંધ થવાથી દેશમાં અનેક જરૂરી ચીજ વસ્તુઓ સસ્તી થશે, ફુગાવો ઘટશે
22 જૂન સુધી ટેલિગ્રામ બંધ, 30 જૂન સુધી એડિટ નહીં
સરકારના આદેશ મુજબ ભારતમાં ટેલિગ્રામ પ્લેટફોર્મની ઍક્સેસ ચોક્કસ સમયગાળા માટે પ્રતિબંધિત રહેશે. આ પ્રતિબંધ 22 જૂન 2026ના રોજ ખુલશે. તેની સાથે પ્લેટફોર્મને પહેલાથી પોસ્ટ થયેલા મેસેજ એડિટ કરવાની સુવિધા પણ 30 જૂન 2026 સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે. આ પગલાથી લીક થયેલા પેપરમાં ફેરફાર કરીને મૂંઝવણ ફેલાવવાની શક્યતા ઘટશે.
21 જૂને NEET રિ-એક્ઝામ, સુરક્ષા ચુસ્ત
NEET UG 2026ની પુનઃપરીક્ષા 21 જૂને બપોરે 2:00 થી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાશે. કુલ 195 મિનિટમાં પરીક્ષા શરૂ-અંતની ઔપચારિકતા પણ સામેલ રહેશે. વિદ્યાર્થીઓની માંગ બાદ NTAએ રફ વર્ક માટે પાનાની સંખ્યા 2થી વધારીને 4 કરી છે. પ્રશ્નપત્રો ભારતીય વાયુસેના દ્વારા પહોંચાડાશે. CRPF અને CISFના જવાનો કેન્દ્રો પર તૈનાત રહેશે. રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને પારદર્શિતા જાળવવામાં આવશે.
NTAએ આવકાર્યો નિર્ણય
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કેન્દ્રના આ નિર્ણયને આવકાર્યો છે. NTAનું કહેવું છે કે સલામત અને સુરક્ષિત પરીક્ષા માટે આવા પગલા જરૂરી છે. 21 જૂને 20 લાખથી વધુ ઉમેદવારોનું ભવિષ્ય દાવ પર છે, તેથી એક પણ ભૂલને અવકાશ નથી.
ટેલિગ્રામ બંધ હોવાથી વિદ્યાર્થીઓને સ્ટડી મટીરિયલ મેળવવામાં તકલીફ પડી શકે, પરંતુ સરકારનું માનવું છે કે એક પરીક્ષાની પવિત્રતા માટે આ થોડા દિવસનું બલિદાન જરૂરી છે.
