સરકારના જીડીપી વૃદ્ધિના આંકડા શંકાસ્પદ, રઘુરામ રાજને કહ્યું,” અર્થતંત્રમાં કંઈક ખોટું”
આટલો વિકાસ હોય તો રોકાણકારો કેમ ભાગી રહ્યા છે? RBI ના ભૂતપૂર્વ ગવર્નરનો સીધો સવાલ
ભારતના પૂર્વ રિઝર્વ બેંક ગવર્નર રઘુરામ રાજને દેશની આર્થિક વૃદ્ધિના સત્તાવાર દાવાઓ અંગે સવાલો ઉઠાવતા કહ્યું છે કે અર્થતંત્રમાં “કંઈક ખોટું” હોવાનું જણાઈ રહ્યું છે. તેમના મતે જો ભારતીય અર્થતંત્ર ખરેખર 7 ટકાથી વધુ દરે વિકાસ કરી રહ્યું હોત તો કોર્પોરેટ રોકાણમાં નોંધપાત્ર વધારો જોવા મળવો જોઈએ, પરંતુ વાસ્તવિકતા તેના વિપરીત છે. રાજને જણાવ્યું કે છેલ્લા દસ વર્ષથી કોર્પોરેટ રોકાણમાં ઉછાળો ન આવવો એ અર્થતંત્ર માટે સૌથી મોટું રહસ્ય છે. કંપનીઓ નવી ક્ષમતા ઊભી કરવા માટે પૂરતું રોકાણ કરતી નથી, જે દર્શાવે છે કે બજારમાં માંગ એટલી મજબૂત નથી જેટલી જીડીપીના આંકડા સૂચવે છે.
રાજનના મતે વિદેશી સીધું રોકાણ (એફડીઆઈ) નોંધપાત્ર રીતે ઘટ્યું છે અને પોર્ટફોલિયો રોકાણકારો પણ ભારતીય બજારમાંથી નાણાં પાછાં ખેંચી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશી અને વિદેશી બંને પ્રકારના રોકાણકારો નવી મૂડી લગાવવામાં સંકોચ અનુભવી રહ્યા છે, જે અર્થતંત્ર પ્રત્યે વિશ્વાસના અભાવનો સંકેત આપે છે. તેમણે ઉમેર્યું કે જો કંપનીઓ અને રોકાણકારો વિકાસની ગતિ અંગે વિશ્વાસ ધરાવતા હોત તો રોકાણના આંકડાઓમાં પણ તેનો સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળત.
મધ્યપૂર્વમાં વધતા તણાવ અને તેલના ઊંચા ભાવોને લઈને પણ રાજને ચેતવણી આપી હતી. તેમના મતે રોકાણમાં નબળાઈ એ “કોલસાની ખાણમાં કેનેરી” સમાન ચેતવણી છે, જે દર્શાવે છે કે અર્થતંત્રમાં અંદરથી કેટલીક ગંભીર સમસ્યાઓ રહેલી છે. તેમણે સરકારને રોકાણ, રોજગાર સર્જન અને વ્યવસાયિક વાતાવરણને વધુ અનુકૂળ બનાવતા સુધારાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.
આ પણ વાંચો: આજે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં ટક્કર
2047નું લક્ષ્ય, પરંતુ સ્પષ્ટ આર્થિક વિઝન ક્યાં?
રઘુરામ રાજને જણાવ્યું કે ભારત 2047 સુધી વિકસિત દેશ બનવાનું લક્ષ્ય તો દર્શાવે છે, પરંતુ તે હાંસલ કરવા માટેની સ્પષ્ટ આર્થિક વ્યૂહરચના હજુ સામે આવી નથી. તેમના મતે દેશ કયા ક્ષેત્રોને પ્રાધાન્ય આપશે, માનવ સંસાધન વિકાસમાં કેટલું રોકાણ કરશે, રોજગાર સર્જન માટે શું આયોજન છે અને લાંબા ગાળાની વૃદ્ધિનો માર્ગ શું હશે તે અંગે સ્પષ્ટતા જોવા મળતી નથી. તેમણે એમ પણ કહ્યું કે વર્ષો સુધી ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના પ્રયાસો છતાં ભારત હજુ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ શક્તિ તરીકે ઊભરી શક્યું નથી, જે નીતિગત પુનર્વિચારની જરૂરિયાત દર્શાવે છે.
પેટ્રોલ-ડીઝલના ભાવવધારો ટાળવાનું મુશ્કેલ, ફુગાવો વધશે
મધ્યપૂર્વમાં લાંબા સમય સુધી અસ્થિરતા યથાવત રહે અને તેલના ભાવ ઊંચા રહે તો ભારત માટે પેટ્રોલ-ડીઝલ સહિત ઊર્જાના ભાવ વધારવા અનિવાર્ય બની શકે છે, એવું રઘુરામ રાજને જણાવ્યું. તેમના મતે સરકાર લાંબા સમય સુધી સબસિડી દ્વારા ભાવવધારાનો બોજ પોતે ઉઠાવી શકશે નહીં, કારણ કે તેનાથી રાજકોષીય ખાધ અને દેવાનો બોજ વધી શકે છે. તેમણે સૂચવ્યું કે ઊર્જાના ઊંચા ખર્ચનો બોજ તબક્કાવાર રીતે ગ્રાહકો સુધી પહોંચાડવો પડશે. સાથે જ તેમણે ચેતવણી આપી કે જો કાચા તેલના ભાવમાં વધુ ઉછાળો આવશે તો ફુગાવાનું દબાણ વધશે અને લોકોમાં ભાવવધારાની અપેક્ષા મજબૂત બનશે, જે અર્થતંત્ર માટે વધુ જોખમી સાબિત થઈ શકે છે. મધ્યપૂર્વમાં ખાસ કરીને હોર્મુઝની ખાડીમાં અવરોધ લાંબો સમય ચાલુ રહે તો ભારતને ઊર્જા આયાતના મોરચે નોંધપાત્ર આર્થિક ફટકો સહન કરવો પડી શકે છે.
