મણિપુરમાં દંપતી અને પુત્રની હત્યા, મકાનો સળગાવાયા
બે સશસ્ત્ર જૂથો વચ્ચે સામસામે ગોળીબાર
જાતિય હિંસાથી લાંબા સમયથી પ્રભાવિત મણિપુરમાં શુક્રવારે ફરી હિંસા ભડકી હતી. કાંગપોકપી જિલ્લાના લોઇબોલ ખેલેન વિસ્તારમાં બે સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલા સામસામે ગોળીબારમાં એક દંપતી અને તેમના પુત્રની હત્યા કરવામાં આવી હતી, જ્યારે અનેક મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક સંગઠનોના જણાવ્યા મુજબ વહેલી સવારે આશરે 4.10 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. ઘટનામાં લેટખોંગમ હાઓકિપ, તેમની પત્ની ટિનમેરી હાઓકિપ અને પુત્ર જાંગમિનલાલ હાઓકિપના મોત થયા હતા.
કુકી ઇનપી મણિપુર (KIM) નામના કુકી સમુદાયના સર્વોચ્ચ સંગઠને આ ધટનામાં સાત મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા હોવાનો અને મોટા પાયે મિલકતોને નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કર્યો છે. સંગઠને આ હુમલાને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતો બર્બર હુમલો ગણાવ્યો હતો અને કેન્દ્ર સરકાર તથા સુરક્ષા એજન્સીઓ પાસે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી હતી.
લાપતા બંધકો મુદે તંગદિલી
મણિપુરમાં તાજેતરની હિંસાનું એક મુખ્ય કારણ નાગા અને કુકી સમુદાયો વચ્ચેનો બંધકોનો વિવાદ છે. 13 મેના રોજ થયેલા બે અલગ-અલગ હુમલામાં ત્રણ ચર્ચ નેતાઓ સહિત ચાર લોકોના મોત થયા હતા. ત્યારબાદ બંને સમુદાયોના કુલ 48 લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. 15 મેના રોજ 14 નાગા અને 14 કુકી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે યુનાઇટેડ નાગા કાઉન્સિલના જણાવ્યા મુજબ હજુ પણ 6 નાગા લોકો લાપતા છે. આ છ લોકોના ઠેકાણા અંગે તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે. બીજી તરફ કુકી-ઝો સમુદાયના 14 લોકો હજુ પણ કબજામાં હોવાનું જણાવવામાં આવે છે. આ બંધક કાંડને કારણે નાગા અને કુકી સમુદાયો વચ્ચેનો અવિશ્વાસ વધુ ઊંડો બન્યો છે અને રાજ્યમાં વિરોધ પ્રદર્શન, બંધ તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના અવરોધ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે.
