સરકારી વકીલ પદેથી બે દિ’ પહેલાં રાજીનામું આપી દીધાનો પત્ર રજૂ કર્યો
આણંદપર બેઠકના ભાજપના ઉમેદવાર સામેના વાંધા પણ ફગાવી દેવાયા: દાખલો રજૂ ન કરનાર આપના એક ઉમેદવારનું ફોર્મ રદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે ત્યારે આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ભાજપના ઉમેદવારો સામે વાંધા રજૂ કરી ફોર્મ રદ કરવા માંગણી કરવામાં આવી હતી પરંતુ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવારોના વાંધા ફગાવી દઈ ભાજપના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખ્યા હતા. હવે બુધવારે ફોર્મ પરત ખેંચવાની મુદત હોય ત્યારબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર કરી હતી અને શનિવારે ફોર્મ સ્વીકારવાના અંતિમ દિવસે નામાંકન પત્ર દાખલ કરવામાં ભારે ઘસારો જોવા મળ્યો હતો. ભાજપે શુક્રવારે રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.
ચૂંટણી ફોર્મ ભરાઈ ગયા બાદ આજે ફોર્મ ચકાસણી રાખવામાં આવી હતી. જુદા જુદા ચૂંટણી અધિકારીઓએ રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરી હતી જેમાં તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૧માં ચૂંટણી લડતા એડવોકેટ રક્ષિત વસંતલાલ કલોલા સામે ચૂંટણી લડતા કોંગ્રેસના ઉમેદવાર મથુરભાઈ માલવીએ વાંધા રજૂ કરી ફોર્મ રદ કરવા માંગણી કરી હતી. કોંગ્રેસના ઉમેદવારે લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, રક્ષિત કલોલા સરકારી વકીલ તરીકે સેવા આપે છે. નિયમ મુજબ ચૂંટણી લડતા ઉમેદવાર સરકારી કર્મચારી કે સરકારના કોઈપણ વિભાગમાં સેવા આપતો ન હોવો જોઈએ.
કોંગ્રેસના ઉમેદવારની આ રજૂઆત સામે વકીલ રક્ષિત કલોલાએ સરકારી વકીલ પદેથી તા.૯-૪-૨૬ના રાજીનામું આપી દીધું હતું જે જિલ્લા સરકારી વકીલે સ્વીકારી લીધું હોવાનો પત્ર રજૂ કરતાં ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવારની રજૂઆત ફગાવી દઈ ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખ્યું હતું.
આ ઉપરાંત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આણંદપર બેઠકમાં ભાજપના ઉમેદવાર જસ્મીન પીપળિયા સામે પણ કોંગ્રેસના ઉમેદવારે વાંધા અરજી રજૂ કરી હતી જે પ્રાંત અધિકારીએ રદ કરી ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખ્યું હતું. રાજકોટ મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ચકાસણીની કાર્યવાહી વખતે રાજકોટ તાલુકા પંચાયતના ગઢકા બેઠકના આપના ઉમેદવારે દાખલો રજૂ કરેલ ન હોય જેના કારણે તેનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું જેના કારણે આ બેઠક બિનહરીફ થઈ ગઈ છે.
