વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ: કાનાલુસ -જામનગર વચ્ચે ડબલ ટ્રેક પ્રોજેકટનું લોકાર્પણ કરશે, 257 કરોડના ખર્ચે પ્રોજેક્ટ સંપન્ન
ભારતીય રેલવેના આધુનિકીકરણ, ક્ષમતા વિસ્તરણ અને પ્રાદેશિક સંતુલિત વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 31 માર્ચના રોજ રાજ્યનાં 891 કરોડના વિવિધ રેલ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. વડાપ્રધાન દ્વારા આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવશે
આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન દ્વારા ખેડબ્રહ્મા, હિંમતનગર, અમદાવાદ (અસારવા) વચ્ચે નવી ટ્રેન સેવાનો પ્રારંભ તેમજ ખેડબ્રહ્મા-હિંમતનગર રેલ લાઈનનું લોકાર્પણ તથા ગાંધીધામ, આદીપુર રેલ લાઈનના મલ્ટી-ટ્રેકિંગ અને કાનાલુસજામનગર રેલ લાઇનના ડબલિગનું રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવશે, જેનાથી ઉત્તર ગુજરાત અને રાજ્યના મધ્યભાગ વચ્ચે ઝડપી, સુલભ અને વિશ્વસનીય પરિવહન વ્યવસ્થા સ્થાપિત થશે.
કાનાલુસ જામનગર રેલખંડનું ડબલિંગ (27 કિમી)
257 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા આ પ્રોજેક્ટ હેઠળ હવે એક જ માર્ગ પર બે ટ્રેક ઉપલબ્ધ થયા છે, જેનાથી ટ્રેનોના સંચાલનમાં વિલંબ ઘટશે. મુસાફરોને સમયસર ટ્રેન મળશે અને મુસાફરી વધુ વધુ આરામદાયક બનશે. માલગાડીઓની ગતિમાં વધારો થવાથી વેપારને પણ લાભ થશે. આ પ્રોજેક્ટ જામનગર અને આસપાસના વિસ્તારોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે તથા ભવિષ્યમાં નવી ટ્રેનો દોડાવવા માટે પણ સહાયક સાબિત થશે.
નવી ટ્રેન સેવા: પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન
ખેડબ્રહ્માથી હિંમતનગર થઈ અમદાવાદ (અસારવા) સુધી શરૂ થનારી નવી ટ્રેન સેવા સામાન્ય જનતા માટે દૈનિક મુસાફરી સરળ બનાવશે. વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને દર્દી માટે શહેર સુધી અવરજવર વધુ સુવિધાજનક અને સસ્તી બનશે.
ખેડબ્રહ્મા હિંમતનગર રેલ લાઈન (55 કિમી)
482 કરોડના ખર્ચે નિર્મિત આ નવી રેલ લાઈનથી સાબરકાંઠા વિસ્તારને સીધી રેલ સુવિધા પ્રાપ્ત થશે. હવે લોકો અમદાવાદથી નાના અંબાજી સુધી ઓછા સમયમાં અને સસ્તા ભાડામાં સરળતાથી પહોંચી શકશે. ખેડૂતોને તેમના ઉત્પાદનો બજાર સુધી ઝડપથી પહોંચાડવામાં મદદ મળશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે.
ગાંધીધામ આદિપુર રેલખંડનું મલ્ટીટ્રેકિંગ (11 કિમી)
152 કરોડના ખર્ચે નિર્મિત આ નવી રેલ લાઈનથી માલગાડીઓની અવરજવર સુગમ થશે. કંડલા પોર્ટ અને આસપાસના ઉદ્યોગોને માલ પરિવહનમાં તેજી મળશે, જેનાથી વેપારને વેગ મળશે. ખાસ કરીને મીઠું, કન્ટેનર, ખાતર, પેટ્રોલિયમ ઉત્પાદનો અને કોલસાના પરિવહનમાં ગતિ અને કાર્યક્ષમતા વધશે, જેનાથી લોજિસ્ટિક્સ સિસ્ટમ વધુ મજબૂત બનશે.
