વ્યાજખોરીની ફરિયાદ-વાહવાહીનો ‘વરસાદ’: રાજકોટ પોલીસ દ્વારા આયોજિત જનસંપર્ક સભામાં રિક્ષાચાલક, સરપંચ, ધંધાર્થી સહિતનાએ ઠાલવી વ્યથા
રાજકોટમાં દર બીજા-ત્રીજા દિવસે અલગ-અલગ પોલીસ મથકોમાં વ્યાજખોરીની ફરિયાદ નોંધાતી રહે છે. એકંદરે વ્યાજનો ભરડો દિવસેને દિવસે વધુ મજબૂત બની રહ્યો હોય તેને નાબૂદ કરવા દોઢ વર્ષ બાદ શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે નાણાં ધીરનાર ઈસમો વિરુદ્ધ પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા ત્યારે તેમાં વ્યાજખોરીની ફરિયાદની સાથે સાથે જ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વાહવાહીનો વરસાદ થવા પામ્યો હતો. અંદાજે દોઢ કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન મૌખિક રીતે વ્યાજખોરીની ફરિયાદ થઈ તેની તુલનાએ પોલીસ દ્વારા કરાયેલી કાર્યવહીના વખાણ વધુ થવા લાગતાં લોકો ખુરશી છોડીને રવાના થવા લાગ્યા હતા. એકંદરે આ કાર્યક્રમમાં રિક્ષાચાલક, સરપંચ, વિવિધ ધંધાર્થી સહિતનાએ પોતાની વ્યથા અધિકારીઓ સમક્ષ ઠાલવી હતી.
આ પછી હોલમાં જ અલગ-અલગ પોલીસ મથકના ટેબલ ગોઠવવામાં આવ્યા હોય ત્યાં અરજદારોની અરજી લઈ ફરિયાદોનું નિરાકરણ કરવા તજવીજ આદરવામાં આવી હતી. એકંદરે આ જનસંપર્ક સભામાં આજીડેમ પોલીસ મથક સિવાય તમામ પોલીસ મથકે વ્યાજખોરી સામે કાર્યવાહી કરવામાં `ઝડપ’ રાખ્યાનો નિષ્કર્ષ પણ નીકળ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા ઉપરાંત તમામ એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉધાર લઈને જલ્સા ન કરો, ફસાયા હોય તો ફરિયાદ કરવા આવો: પોલીસ કમિશનર

કાર્યક્રમને સંબોધન કરતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ લોકોને અપીલ કરતા જણાવ્યું કે બર્થ-ડે પાર્ટી, લગ્ન સહિતના પ્રસંગો માટે ઉધાર પૈસા લઈને જલ્સા ન કરવા જોઈએ અને જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવશો તો ક્યારેય વ્યાજના ચક્રમાં ફસાશો નહીં. જો વ્યાજખોરની ચુંગાલમાં ફસાયા હોય તો હિંમતભેર સામે આવી તમારી ફરિયાદ કરો. જો પોલીસ મથકે જઈને ફરિયાદ કરવામાં ડર કે સંકોચ થઈ રહ્યો હોય તો એસીપી, ડીસીપી અને ત્યાં સુધી કે મારી ઓફિસમાં આવીને પણ રજૂઆત કરી શકો છો. જો તમે સમયસર ફરિયાદ કરશો તો પોલીસ ઝડપથી કાર્યવાહી કરશે પરંતુ તેના માટે પ્રયત્ન કરવો જરૂરી છે.
`કર્જામુક્તિ અભિયાન’થી લોકો ન ભરમાય, લોન લીધી હશે તો પૈસા ચૂકવવા પડશે: બેન્ક અધિકારી
જનસંપર્ક સભામાં ઉપસ્થિત એસબીઆઈના અધિકારી સંજયભાઈએ જણાવ્યું કે તાજેતરમાં અમુક લોકો દ્વારા કર્જામુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં ભરમાવું જોઈએ નહીં કેમ કે લોન લીધી હશે તો પૈસા ચૂકવવા જ પડશે. વળી, લીધેલી લોન પરત કરવામાં નહીં આવે તો તમારો ક્રેડિટસ્કોર પણ ખરાબ થઈ જશે અને ભવિષ્યમાં બીજી વખત ક્યારેય લોન મળશે નહીં એટલા માટે લીધેલી લોન સમયસર ભરપાઈ કરવી જરૂરી બની જાય છે.
સરપંચ તેમજ આજીડેમ પીઆઈ વચ્ચે જામી પડી !

આ કાર્યક્રમમાં જગાભાઈ વિસાભાઈ ઝાપડિયા કે જેમના પત્ની હંસાબેન ઝાપડીયા સરપંચ તરીકે કાર્યરત છે તેમણે પોતાની રજૂઆત કર્યા બાદ રોષભેર બહાર નીકળી ગયા હતા અને આજી ડેમ પોલીસ મથક વિસ્તારના ટેબલ પર જઈને અરજી આપી હતી. આ વેળાએ આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજા પણ ત્યાં પહોંચતાં થોડો સમય માટે સરપંચ હંસાબેન, તેમના પતિ સહિતના સાથે જામી પડતાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું.
સાહેબ, ભત્રીજો 20% વ્યાજ વસૂલે છે, રિક્ષામાં રહેવા મજબૂર છું

હુડકોમાં રહેતા અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા દિનેશભાઈ નાથાભાઈ ચાવડાએ જણાવ્યું કે તેમણે સગા ભત્રીજા પાસેથી ૨૦ હજાર રૂપિયા 20% વ્યાજે લીધા હતા અને અત્યાર સુધીમાં એક લાખ રૂપિયા ભરપાઈ કરી દીધા છે આમ છતાં મારકૂટ કરી ભત્રીજો ધમકાવી રહ્યો છે અને ઘર પણ પચાવી પાડતાં હાલ રિક્ષામાં રહેવા મજબૂર બન્યો છું. આ ફરિયાદ સાંભળી તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી નહીં કરે તો અમે પાકિસ્તાન રહેવા ચાલ્યા જશું

કોટડાસાંગાણી નજીક આવેલા ગામના મહિલા સરપંચ હંસાબેન ઝાપડિયા અને તેમના પતિ જગાભાઈ ઝાપડિયાએ રોષપૂર્વક રજૂઆત કરતાં જણાવ્યું કે તેમણે ભાણેજ પ્રકાશ પ્રભાત ચાવડા પાસેથી વ્યાજે પૈસા લઈને તે પરિવારની જ વ્યક્તિને આપ્યા હતા. જો કે જેને પૈસા આપ્યા તે ભાગી જતાં પૈસા ચૂકવવાની જવાબદારી જગાભાઈ ઉપર આવતાં પ્રકાશે કડક ઉઘરાણી કરતાં જ ગત 7-4-2025ના તેમણે ઝેરી દવા પી લીધી હતી. 30 લાખના બદલામાં એક કરોડ ચૂકવી દીધા છતાં 1.48 કરોડ રૂપિયા વધુ માંગતો હોય આજી ડેમ પોલીસ મથક દ્વારા 59 દિવસ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હજુ પણ પૂરતી કાર્યવાહી ન થઈ રહી હોય પરિવાર હેરાન-પરેશાન થઈ ગયો છે. જો કાર્યવાહી નહીં કરાય તો ૨૭ માર્ચથી આખોયે પરિવાર પાકિસ્તાન રહેવા માટે ચાલ્યો જશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી !
પુજારા ફાયનાન્સનો હિરેન પુજારા 11 તોલા ઓળવી ગયો છે

જનસંપર્ક સભામાં પ્રમોદભાઈ ખાખરિયાએ રજૂઆત કરતાં જણાવ્યું કે તેમણે 2023માં પુજારા ફાયનાન્સના હિરેન પુજારા પાસે 11 તોલા સોનાના દાગીના ગીરવે મુકી લોન લીધી હતી જેનું દર મહિને 18 હજાર રૂપિયા વ્યાજ ચૂકવતા હતા. આ પછી પૈસાની સગવડ થઈ જતાં ઘરેણા છોડાવવા માટે ગયા તો હિરેન પુજારાએ ઘરેણા આપવાની જગ્યાએ માથાકૂટ શરૂ કરી દેતાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે હજુ સુધી આ ઘરેણા પરત મળ્યા ન હોય તેમણે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.
