બીજેડી તમામ સ્તરે ભાજપનો વિરોધ કરશે: નવીન પટનાયક
ઓડિશામાં સત્તા ગુમાવ્યા બાદ બીજું જનતા દળે હવે ધારાસભા તેમજ રાજ્યસભામાં તમામ સ્તરે ભાજપનો વિરોધ કરવાનું એલાન કર્યું છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે ચૂંટાયેલા ધારાસભ્યો અને રાજ્યસભાના સભ્યો સાથેની બેઠકમાં કહ્યું કે ઓડિશા વિધાનસભામાં ભાજપની માત્ર ચાર ધારાસભ્યની બહુમતી છે અને લોકસભામાં પણ ભાજપ એકલા હાથે બહુમતીથી દુર રહી ગયો છે. તેમણે ધારાસભ્યો તથા રાજ્યસભાના સભ્યોને ઓડિશાના હિતમાં અવાજ ઉઠાવવા અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે બીજુ જનતા દળે ભૂતકાળમાં વિપક્ષી ગઠબંધનોની અવગણના કરી અને હંમેશા ભાજપને ટેકો આપ્યો હતો. રાજ્યસભા અને લોકસભામાં અનેક બિલ ઉપર મતદાન સમયે પણ બીજેડીએ ભાજપની તરફેણ કરી હતી. ત્યાં સુધી કે રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવને રાજ્યસભાના સભ્ય બનાવવામાં પણ બીજેડીની મુખ્ય ભૂમિકા હતી.ભાજપ સાથે સ્નેહગાંઠ ધરાવતા બીજેડી સામે જોકે તાજેતરની ધારાસભા અને લોકસભાની ચૂંટણીમાં ભાજપે આક્રમક પ્રચાર કર્યો હતો. ત્યાં સુધી કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવીન પટનાયક ઉપર વ્યક્તિગત પ્રહારો કર્યા હતા. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ઓડિશામાં બીજેડીને એક પણ બેઠક નથી મળી.
રાજ્ય સભામાં નવા સમીકરણો
250 સભ્યોની રાજ્યસભામાં એનડીએ ના 125 અને ઇન્ડિયા ગઠબંધનના 116 સભ્યો છે. અત્યાર સુધી રાજ્યસભામાં ભાજપને ટેકો આપનાર બીજેડીના 9,જગનમોહન રેડીના પક્ષ વાય એસઆરપી ના 11 અને ચંદ્રશેખર રાવની બીઆરએસ પાર્ટીના ચાર સભ્યો છે. આ ત્રણેય પક્ષો આ વખતે ભાજપની વિરુદ્ધમાં હોવાને કારણે રાજ્ય સભામાં એનડીએ નું ગણિત ખોરવાઈ ગયું છે.