14 માર્ચથી મીનારક કમુહૂર્તાનો પ્રારંભ: 21 એપ્રિલથી લગ્નનું પ્રથમ મુહૂર્ત,જાણો કમુહૂર્તા શા માટે આવે છે?
શનિવારે રાત્રે 1.04 કલાકેથી મીનારક કમુહૂર્તનો પ્રારંભ થશે. ફાગણ વદ દશમને શનિવાર તા. 14 માર્ચના રાત્રે 1.04 કલાકે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે અને મીનારક કમુહુર્તાનો પ્રારંભ થશે. મીનારક કમુહૂર્તા દરમિયાન લગ્ન સિવાયના બધા જ શુભકાર્યો થઈ શકે છે.
મીનારક કમુહુર્તા તા. 15 એપ્રિલના વહેલી સવારે 6.25 કલાકે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશતાની સાથે પૂર્ણ થશે. ત્યારબાદ 21 એપ્રિલથી લગ્નનું પ્રથમ મુહૂર્ત છે.
આ વર્ષે ચૈત્ર મહિનાનો પ્રારંભ ફાગણ વદ અમાસને ગુરૂવારથી થશે. તા. 19 માર્ચને ગુરૂવારે અમાસ તિથિ સવારના 6.54 સુધી છે, ત્યારબાદ આખો દિવસ એકમ તિથિ છે. જ્યારે બીજા દિવસે શુક્રવારે બીજ તિથિ છે. આમ, એકમ તિથિનો ક્ષય હોતા તથા ગુરૂવારે આખો દિવસ રાત્રી એકમ તિથિ હોતા આ વર્ષ ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ તા. 19 માર્ચને ગુરૂવારે થશે. શ્રીપંચમી તા. 23 માર્ચે, રામનવમી તા. 26 માર્ચે અને હનુમાન જયંતી તા. 2 એપ્રિલે છે.
કમુહૂર્તા શા માટે આવે છે?
ગુજરાતમાં સૂર્ય જ્યારે ધન રાશિમાં અને મીન રાશિમાં આવે ત્યારે કમુહૂર્તા ગણાય છે. લગ્ન જેવા શુભ પ્રસંગો થતા નથી. સૂર્ય જ્યારે ગુરૂની રાશિમાં આવે ત્યારે ગુરૂ તેનું બળ ગુમાવી બેસે છે. આથી આ દિવસોને કમુહૂર્તા કહેવાય છે.
