મૈત્રી કરાર તોડવાની પ્રેમિકાની જીદ બની લોહિયાળ: રાજકોટમાં પ્રેમિકા પર છરીના ઘા ઝીંકી પ્રેમીએ ટ્રેન હેઠળ પડતું મૂકીને કર્યો આપઘાત
રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ નજીક શીતળાધારમાં અનૈતિક સંબંધોનો લોહિયાળ અંત આવ્યો છે. મૈત્રી કરારથી સાથે રહેતી પ્રેમિકાએ પ્રેમ સબંધ તોડવાની વાત કરતા જ ઉશ્કેરાયેલા પ્રેમીએ છરી વડે જીવલેણ હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ પોતે પણ ટ્રેન હેઠળ કૂદીને આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. જોકે સિવિલ હોસ્પિટલમાં સારવારમાં રહેલ પ્રેમિકાની હાલત પણ નાજુક હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો મુજબ, મૂળ મહારાષ્ટ્રના અને જૂનાગઢના ભેંસાણ પંથકના બરવાળા ગામે પરણેલા કાજલબેન ભૂપતભાઈ ગોંડલીયા (ઉ.વ. 45) સાતેક વર્ષ પહેલા ગામના જ હિંમત ગોબરભાઈ વાળાના સંપર્કમાં આવ્યા હતા. આ પ્રેમ સંબંધને કારણે કાજલબેને પોતાના પતિ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને હિંમત સાથે મૈત્રી કરાર કરી રાજકોટના શીતળાધાર વિસ્તારમાં રહેવા આવી ગયા હતા.
હિંમત પોતે પણ પરણેલો હતો અને તેને સંતાન પણ છે. તે ક્યારેક વતનમાં પોતાની પત્ની પાસે રહેતો તો ક્યારેક રાજકોટ કાજલબેન સાથે રહેતો હતો. છેલ્લા કેટલાક સમયથી હિંમત રાજકોટ ઓછું આવતો હોવાથી કાજલબેને તેની સાથે મૈત્રી કરાર પૂરા કરી ફરી પોતાના પૂર્વ પતિ પાસે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વાત હિંમતને મંજૂર નહોતી.
આ પણ વાંચો :ઠાકરે કર્યું બધું જ ‘ઠીક’: રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કાર્યકાળમાં દરરોજ 4.84 કરોડનો ‘વિકાસ’ મંજૂર
સોમવારે વહેલી સવારે પાંચેક વાગ્યે હિંમત વતનથી રાજકોટ કાજલબેનના ઘરે આવ્યો હતો. મૈત્રી કરાર છૂટા કરવાની વાત પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી ગયેલા હિંમતે કાજલબેનનું મોઢું દબાવી છરી વડે તેમના પેટ, છાતી અને ગળાના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. કાજલબેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડતા હિંમત ત્યાંથી નાસી છૂટ્યો હતો.ગંભીર રીતે ઘવાયેલા કાજલબેનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
પ્રેમિકા પર હુમલો કર્યા બાદ પસ્તાવો કે પકડાઈ જવાનો ડર લાગતા હિંમત વાળાએ કોઠારીયા સોલવન્ટ નજીક ટ્રેન હેઠળ કૂદીને આપઘાત કરી લીધો હતો. રેલવે ટ્રેક પરથી લાશ મળી આવતા પોલીસે તેની ઓળખ વિધિ કરી હતી, જેમાં તે હુમલાખોર હિંમત જ હોવાનું ખુલ્યું હતું. મૃતક હિંમત યાર્ડમાં ફેરા કરવાનું કામ કરતો હતો અને ત્રણ ભાઈઓમાં વચેટ હતો.એક તરફ પ્રેમિકા હોસ્પિટલના બિછાને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, તો બીજી તરફ પ્રેમીના મોતના સમાચાર સાથે આ અનૈતિક સંબંધોનો કરુણ અને લોહિયાળ અંત આવ્યો છે.
પ્રેમીથી દૂર જવાનું નક્કી કરી બેઠેલી મહિલાને પુત્ર સવારે તેડવા આવવાનો હતો.
બનાવ અંગે ઇજાગ્રસ્ત કાજલબેનના પુત્ર સાગરે જણાવ્યું હતું કે, માતાને તેનો પ્રેમી (હિંમત) સરખી રીતે સાચવતો ન હોય તેમજ માથાકૂટ કરતો હોય તેવી ફરિયાદ અગાઉ કરી હતી. જે બાદ કાજલબેને ફરી પતિ અને દીકરા સાથે રહેવા આવવાનું કહેતા બંને પિતા-પુત્રએ હા પાડી હતી અને આ બાબતે હિંમત સાથે પણ વાત કરી હતી પણ તે રાજી થયો ન હતો. જેથી સાગર તેની માતાને સવારે તેડવા આવવાનો હતો જોકે પુત્ર પહોંચે તે પૂર્વે જ પ્રેમીએ મહિલાને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.
