ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે અમદાવાદ ‘અનલક્કી’! 2023માં ભારત આ જ ગ્રાઉન્ડ પર વન-ડે વર્લ્ડકપનો ફાઈનલ હારી’તી
આવતીકાલે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપનો ફાઇનલ મુકાબલો રમાવાનો છે. એક રીતે જોવા જઈએ તો આઈસીસી ટૂર્નામેન્ટ્સમાં ભારતીય ટીમ માટે અમદાવાદ ‘અનલક્કી’ રહ્યું હોય તે પ્રકારે 2023ના વન-ડે વર્લ્ડકપના ફાઇનલમાં ટીમની અહીં હાર થઈ હતી. ત્યારે આ વખતના ટી-20 વર્લ્ડકપમાં ભારતને એકમાત્ર હાર મળી છે તે પણ આ જ ગ્રાઉન્ડ ઉપર મળી હતી.
હવે ફાઇનલ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાએ એક અનોખું પગલું ઉઠાવ્યું છે. મેચ પહેલાં ટીમની હોટેલ અને સ્ટેડિયમમાં ડ્રેસિંગ રૂમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવું એટલા માટે કરાયું છે જેથી નકારાત્મક ઈતિહાસને તોડીને નવી શરૂઆત કરી શકાય.
ટીમ 2023ના વન-ડે વર્લ્ડકપ ફાઇનલ દરમિયાન જે હોટેલમાં રોકાઈ હતી ત્યાં હવે રોકાશે નહીં. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ ‘હોમ’ ડ્રેસિંગ રૂમની જગ્યાએ વિઝિટિંગ ટીમના ડ્રેસિંગ રૂમનો ઉપયોગ કરી શકે છે.
આ પહેલાં મુંબઈમાં પ્રેક્ટિસ પણ ચંદ્રગ્રહણને કારણે થોડી મોડેથી શરૂ કરાઈ હતી. જો કે હોટેલના ફેરફાર પાછળ પણ એક કારણ છે. આઈસીસીના નિયમ પ્રમાણે અમદાવાદમાં પ્રથમ ફાઇનલિસ્ટ ટીમને હંમેશા આઈસીસી નર્મદા હોટેલમાં ઉતરવાનું હોય છે જ્યાં ભારતીય ટીમ 2023 વન-ડે વર્લ્ડકપ ફાઇનલ દરમિયાન રોકાઈ હતી. અને બીજી ફાઇનલિસ્ટ ટીમને તાજ સ્કાઈલાઈનમાં ઉતારો આપવામાં આવે છે.
આ પણ વાંચો :Ind vs NZ: ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે ન્યુઝીલેન્ડ ‘અજેય’: રવિવારે જીતે કોઈ પણ, મેચ રોમાંચક બની રહેવાની પ્રબળ શક્યતા
શું આ “યુક્તિઓ” ફાઇનલમાં કામ કરશે?
BCCI એ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઇનલ અને દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની સુપર 8 મેચ માટે ભારતીય ટીમ જ્યાં રોકાઈ હતી તે હોટલ સાથેના સંબંધો તોડી નાખ્યા છે અને ટીમને નવી હોટલમાં રાખવાનો નિર્ણય લીધો છે. જોકે, આ નિર્ણય પર કોઈ સત્તાવાર રીતે ટિપ્પણી કરવા તૈયાર નથી.
PTI ના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “BCCI એ ફાઇનલ પહેલા અમદાવાદમાં ભારતીય ટીમની હોટલ બદલી નાખી છે. જ્યારે કોઈ કોઈ સ્પષ્ટ નિવેદન આપશે નહીં, તે કહેવું ખોટું નહીં હોય કે ટીમના અમદાવાદમાં એક જ હોટલમાં છેલ્લા બે રોકાણ દરમિયાન, તેને બે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.”
