અંગદાનથી અમર બન્યા અશોકભાઈ : લીવર ટ્રાન્સપ્લાન્ટથી એક દર્દીને મળ્યું નવું જીવન, ગ્રીન કોરિડોર દ્વારા રાજકોટથી સુરત પહોંચ્યું લિવર
રાજકોટ નજીક સાંગણવા ગામના 52 વર્ષીય ખેડૂત અશોકભાઈ સાવલિયા છેલ્લા છ વર્ષથી કિડની ફેલ્યુર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા અને નિયમિત ડાયાલિસિસ પર જીવન જીવી રહ્યા હતા. પોતાની જાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની ઈચ્છા ધરાવતા અશોકભાઈના જીવનમાં ભગવાને કદાચ કંઈક અલગ જ લખ્યું હતું.
તારીખ 3 માર્ચ 2026ના રોજ તેઓ રોજની જેમ સવારે ડાયાલિસિસ માટે જતા હતા ત્યારે રસ્તામાં અચાનક તેમની તબિયત બગડી ગઈ. તેમને તીવ્ર માથાનો દુખાવો થયો અને થોડા સમયમાં જ તેઓ બેભાન થઈ ગયા. તરત જ તેમને તાત્કાલિક ધોરણે ઓલમ્પસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. વધુ તપાસ કરતાં ડૉક્ટરોએ જણાવ્યું કે તેમના મગજમાં ભારે હેમરેજ થયું છે અને તેમને બચાવવાની શક્યતા ઓછી છે.
આ સંજોગોમાં અશોકભાઈના પુત્ર મીતભાઈ તથા પરિવારજનો દિવ્યમ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર નિશાબેન મહેતા સાથે ચર્ચા કરી રહ્યા હતા કે હવે આગળ શું કરવું.? ત્યારે નિશાબેને સૂચન આપ્યું કે અશોકભાઈની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે, પરંતુ જો તેમનું લીવર સ્વસ્થ હોય તો અંગદાન દ્વારા કોઈ બીજા દર્દીની જિંદગી બચાવી શકાય.
આ વિચાર સાંભળતાં જ મીતભાઈ અને પરિવારજનો વધુ માહિતી માટે નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉ. દિવ્યેશ વિરોજાનો સંપર્ક કર્યો. ડૉ. વિરોજાએ અંગદાન વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ અશોકભાઈના પિતાઘેલાભાઈ, પત્ની ઉષાબેન, પુત્ર મીતભાઈ, દીકરી આરઝુબેન તેમજ ભાઈઓ કેશુભાઈ અને રમેશભાઈ સહિત પરિવારે સહમતીથી અશોકભાઈનું અંગદાન કરવાનો મહાન નિર્ણય લીધો.
આ પણ વાંચો :Thala For A Reason: 7 રનથી જીત, 7 વિકેટ ગુમાવી… ઈંગ્લેન્ડ સામે ભારતની સેમિફાઇનલની જીતમાં ‘થાલા કનેક્શન’?
અંગદાનની પ્રક્રિયા શરૂ કરવા માટે ઓલમ્પસ હોસ્પિટલના ડૉ. મિહિર તન્ના સાથે સંપર્ક કરવામાં આવ્યો, અશોકભાઈને આઈસીયુ એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની બી ટી સવાણી કિડની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા.
અહીં ન્યૂરો ફિઝિશિયન ડૉ. કાર્તિક કાછડીયા, ક્રિટિકલ કેર ફિઝિશિયન ડૉ. કરણ મોઢવાડિયા, નેફ્રોલોજીસ્ટ ડૉ. દિવ્યેશ વિરોજા અને ડૉ. આનંદ કારીયાએ તમામ જરૂરી પરીક્ષણો કરીને અશોકભાઈને બ્રેઇનડેડ જાહેર કર્યા. ત્યારબાદ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેટર ડૉ. અમિત ગોહેલે SOTTOને જાણ કરી સમગ્ર પ્રક્રિયાનું સંકલન કર્યું.
સુરતની કિરણ હોસ્પિટલની વિશેષ ટીમ તાત્કાલિક રાજકોટ પહોંચી અને તારીખ 4 માર્ચ 2026ના રોજ અશોકભાઈના લીવરનું સફળ અંગદાન ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારબાદ ગ્રીન કોરિડોર દ્વારા આ લીવરને રાજકોટ એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યું અને એર એમ્બ્યુલન્સ મારફતે સુરતની કિરણ હોસ્પિટલમાં એક દર્દીને સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.
ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની સમાજસેવિકા ભાવનાબેન મંડલીએ પણ ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરી પરિવારને આ દુઃખદ સમયે સાંત્વના આપી.રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ વિભાગે પણ તાત્કાલિક ગ્રીન કોરિડોર બનાવી લીવર સમયસર એરપોર્ટ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.ધૂળેટીના દિવસે અશોકભાઈ સાવલિયાના અંગદાનથી એક લીવર ફેલ્યોરથી પીડાતા દર્દીને નવજીવન મળ્યું અને માનવતાના સાચા રંગો ફરી એકવાર ઝળહળી ઉઠ્યા છે.
