રાજકોટના જંગલેશ્વરમાં 350 કરોડની જમીન ખુલ્લી: વાહનો સરળતાથી પસાર થશે-પાણી નહીં ભરાય, ચોમાસામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ નહીં થાય
રાજકોટના ઈતિહાસમાં ક્યારેય ન થયું તેવું મેગા ડિમોલિશન વોર્ડ નં.16ના જંગલેશ્વરમાં બે દિવસ સુધી ચાલ્યા બાદ બુધવારે ‘તોડફોડ’ પૂર્ણ કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ આજી નદીનો પટ અને 15 મીટર (45 ફૂટ)નો રોડ જે બાપુનગરથી નાડોદાનગર સુધી આવેલો છે, તે બન્નેની મળી કુલ 350 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી થઈ હોવાથી હવે જંગલેશ્વરમાંથી વાહનો સરળતાથી પસાર થઈ શકશે, સાથે સાથે ચોમાસામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ નહીં થાય તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.
પત્રકાર પરિષદને સંબોધન કરતાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે બાપુનગરથી નાડોદરાનગર સુધીનો સવા બે કિલોમીટરનો ટાઉન પ્લાનિંગ હેતુનો રોડ તથા શાળા નં.70થી પૂર્વ બાજુએ આવેલા આજી નદી પટ વિસ્તારમાં કુલ 88750 ચોરસમીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. અહીં 1489 મકાન, દુકાન, ઓરડીઓનું બાંધકામ હતું જેને તોડી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશન પાછળ કુલ 1512 અધિકારીઓ-કર્મચારીઓની ટીમ તેમજ 261 જેસીબી, ટ્રેક્ટર, ડમ્પર, હિટાચી સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રમાણે 33642 માનવ કલાક અને 5472 મશીનરી કલાકે આ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું.
ડિમોલિશન પછી કમિશનરે જણાવ્યું કે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પૂર નિયંત્રણ સરળતાથી થઈ શકશે. રોડ ખુલ્લો થવાથી એમ્બ્યુલન્સ, ફાયર સર્વિસ અને પોલીસના વાહનો સરળતાથી અવરજવર કરી શકશે. આજી નદી અને ખોખડદડી બન્ને નદીઓ આ લોકેશન પર ભેગી થતાં પૂર દરમિયાન મદદ ઉપલબ્ધ રહેશે. દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ અને ઉપરવાસમાં વધુ વરસાદને કારણે આજી ડેમ છલકાવાથી જંગલેશ્વર, લલૂડી વોંકળી, રૂખડિયાપરા, એકતા કોલોની સહિતના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવું પડે છે. 2024માં અહીંથી 1378 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને 370 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં હવે નોંધપાત્ર ઘટાડો થશે.
પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, ચેતન નંદાણી, પથિક પટેલ, હર્ષદ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડુક, સિટી ઈજનેર પી.ડી. અઢિયા, ડીવાયએસપી આર.બી. ઝાલા સહિતના અધિકારીઓ હાજર રહ્યા.
બોક્સ: જંગલેશ્વરના લોકોને અત્યાર સુધીમાં 873 આવાસ ફાળવાયા, રાજકોટમાં પાંચ વર્ષમાં બનશે 30000 નવા આવાસ
મ્યુનિસિપલ કમિશનરે જાહેરાત કરી કે આગામી પાંચ વર્ષમાં રાજકોટમાં 30000 નવા આવાસ બનવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જંગલેશ્વર વિસ્તારના લોકો માટે અત્યાર સુધી 873 આવાસ ફાળવાયા છે. હાલ રાજકોટમાં 37000 આવાસ તૈયાર છે.
બોક્સ: જંગલેશ્વર 200થી વધુ ગુનેગારોનું રહેઠાણ
ડીસીપી હેતલ પટેલે જણાવ્યું કે જંગલેશ્વરમાં 200થી વધુ ગુનેગારોના મકાન હતા, જેમાં મોટાભાગના ગેરકાયદેસર હતા અને તેમને તોડી પાડવામાં આવ્યા. ડિમોલિશન પહેલાં પોલીસ સહિતના વિભાગો દ્વારા સંયુક્ત કવાયત કરવામાં આવી હતી, જેમાં લોકદરબાર, શાંતિ સમિતિની બેઠક અને મહોલ્લા સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. કુલ બંદોબસ્તમાં 50% મહિલા પોલીસને તૈનાત કરવામાં આવી હતી. આ ડિમોલિશન દ્વારા ગુનેગારોની મોટી સિન્ડીકેટને તોડવામાં આવી છે.
