IPS અનુપમસિંહ ગેહલોત બન્યા અમદાવાદના નવા પોલીસ કમિશનર
અમદાવાદ શહેરને નવો પોલીસ વડો મળી ગયો છે. રાજ્ય સરકારે ટેક્નોક્રેટ IPS અધિકારી અનુપમસિંહ ગેહલોત પર વિશ્વાસ મૂકીને સુરતથી બદલી કરીને તેમને અમદાવાદ પોલીસ કમિશનરની કમાન સોંપી છે. જી. એસ. મલિક DGP બનતા ખાલી પડેલી ખુરશી હવે ગેહલોત સંભાળશે અને શહેરની કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.
સરકારની સત્તાવાર જાહેરાત
રાજ્ય સરકારે બુધવારે સત્તાવાર આદેશ જાહેર કરીને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરી છે. તત્કાલિન CP જી. એસ. મલિકે રાજ્યના પોલીસ વડા તરીકેનો ચાર્જ લેતા આ પદ ખાલી પડ્યું હતું. ગેહલોત હવે અમદાવાદ શહેરની સંપૂર્ણ સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જવાબદારી નિભાવશે. તેમની અમદાવાદ બદલી બાદ સુરત CPનું પદ હાલ ખાલી છે અને તેના પર હજુ કોઈ નવા અધિકારીનું નામ જાહેર થયું નથી.
આ પણ વાંચો: બાબા બર્ફાનીના દ્વારે યાત્રાનો ભવ્ય શુભારંભ, 7 હજારથી વધુ શિવભક્તો રવાના
અનુપમસિંહ ગેહલોતનો પરિચય
1997 બેચના IPS અધિકારી અનુપમસિંહ ગેહલોત મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. તેમણે B.E. અને M.Tech. સુધીનો ઉચ્ચ ટેકનિકલ અભ્યાસ કર્યો છે, જેના કારણે તેમની ગણતરી ટેક્નોક્રેટ કોપ તરીકે થાય છે. પોલીસ સેવાની શરૂઆત તેમણે ભાવનગર અને પાટણ જિલ્લામાં SP તરીકે કરી હતી. બઢતી બાદ તેઓ રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. વડોદરાથી તેમની બદલી સ્ટેટ IBમાં થઈ હતી. છેલ્લે તેઓ સુરતના CP તરીકે ફરજ બજાવતા હતા.
મોટા શહેરોનો અનુભવ કામે લાગશે
રાજકોટ, વડોદરા અને સુરત જેવા સંવેદનશીલ અને મોટા મહાનગરોમાં કમિશનર તરીકેની સફળ કામગીરીનો અનુભવ અનુપમસિંહ ગેહલોત ધરાવે છે. તેમની આ વ્યૂહાત્મક અને ટેક્નિકલ સૂઝ હવે અમદાવાદની ટ્રાફિક સમસ્યા, સાયબર ક્રાઈમ અને કાયદો વ્યવસ્થાના પડકારોને પહોંચી વળવામાં મહત્વની સાબિત થશે તેવું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.
