રાજકોટમાં 5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ધો.10 અને ધો.12ની ઉત્તરવહીની ચકાસણી થશે: 73 હજારથી વધુ શિક્ષકોને ઓર્ડરો આપવામાં આવ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ઉત્તરવહીના મૂલ્યાંકન માટે શિક્ષકોને ઓર્ડરો જારી કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં વિવિધ મૂલ્યાંકન કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં રાજકોટ શહેરમાં પ્રથમ તબક્કામાં પાંચ કેન્દ્રો પર ઉત્તરવહીની ચકાસણી હાથ ધરાશે.
જાણવા વિગતો મુજબ, ધોરણ 10 ના બેઝિક ગણિત વિષયની ઉત્તરવહીનું મૂલ્યાંકન સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવશે. ગુજરાતી વિષયની ચકાસણી આઈ.પી. મિશન ગર્લ્સ હાઈસ્કૂલમાં થશે, જ્યારે અંગ્રેજી વિષયની ઉત્તરવહી કે.કે. ધોળકિયા સ્કૂલ ખાતે તપાસાશે.
આ પણ વાંચો:ધો.10નાં વિદ્યાર્થીઓને 3 કીમી.સુધીમાં પરીક્ષા કેન્દ્રનો નિયમ: 5 વર્ષ પૂર્વે રાજકોટ DEOએ કરી હતી કવાયત, શિક્ષણ વિભાગને યોગ્ય લાગતાં કરાવ્યો અમલ
ધોરણ 12 સામાન્ય પ્રવાહના એકાઉન્ટ અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયોના પેપરનું મૂલ્યાંકન કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે હાથ ધરાશે. જ્યારે અંગ્રેજી વિષયના પેપરોની ચકાસણી રિવર સાઈડ ઇન્ટરનેશનલ સ્કૂલ, ખોખરદળ ખાતે થશે. શિક્ષણ વિભાગ દ્વારા 73 હજારથી વધુ શિક્ષકોને ઉત્તરવહીની ચકાસણી માટેના ઓર્ડરો આપવામાં આવ્યા છે.
