ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ થયું છે. લડાયક ખેડૂત નેતા સુરેન્દ્રનગર જિલ્લાના વતની રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમાં જામીનમુક્ત થયા બાદ રાજીનામું આપતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.રાજુ કરપડાએ આ અંગેનો પત્ર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વિનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લખ્યો છે. ત્યારે નારાજ ખેડૂત નેતા રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાશે કે કેમ એવી અનેક અટકળો ઊભી થઈ છે.
રાજીનામામાં શું કહ્યું?
રાજુ કરપડાએ પોતાના રાજીનામામાં લખ્યું હતું:
“જય કિસાન સાથીઓ… દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું..! મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે. પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્ત્વ અને સમય આપ્યો છે, પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે. મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેશ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ અને મારા તમામ સાથીઓ-ખેડૂતોનો પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું.”
તેમના રાજીનામા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે કે નહીં, જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

શું હતો સમગ્ર મામલો?
12 ઓક્ટોબર, 2025ના રોજ બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.
પોલીસે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી
બોટાદના હડદડમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટનામાં પોલીસે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ પછી, અમદાવાદ કાર્યાલય ખાતે કડદાપ્રથા બંધ કરવાની અને ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે આમરણ ઉપવાસ પર બેસવાના હતા, ત્યારે પોલીસે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની 16 ઓક્ટોબર, 2025ના રોજ ધરપકડ કરી હતી. રાજુ કરપડા અને પ્રવીણ રામ જામીન મંજૂર બોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં ભાવનગર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના ગત 29 જાન્યુઆરી, 2026ના રોજ જામીન મંજૂર કર્યા હતા. તમને જણાવી દઈએ કે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કડદાપ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આપ કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડા અને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની ચાર મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.
