રાજકોટ મનપાનું 2026-27નું 3604.90 કરોડનું બજેટ મંજુર:રૂ. 95 કરોડનો કરબોજ ફગાવાયો, રેસકોર્સની થશે કાયાપલટ,3 પીંક બસ શરૂ કરાશે
રાજકોટ મહાપાલિકાના 2026-27ના 3604.70 કરોડના બજેટને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી મનપા કમિશનરે સૂચવેલ 95 કરોડનો કરબોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે. બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે જેમાં નજર કરીએ તો શહેરમાં પ્રથમ વખત 3 પીંક બસ શરૂ કરાશે. બિલ્ડરો અને ડેવલોપર્સ માટે રાહત મિલ્કતવેરામાં ચડત વ્યાજ પર 5000, પાણીવેરામાં પણ 5000 રૂપિયાની વ્યાજમાફીનો આવતીકાલથી અમલ શરૂ કરવામાં આવશે. રેસકોર્સની કાયાપલટ કરવા સહિતની નવી 23 યોજના શાસકો દ્વારા ઉમેરવામાં આવી છે.
.3604.90 કરોડનું લોકભોગ્ય બજેટ મંજૂર
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણાકીય વર્ષ 2026-27 માટેનું બજેટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટીને રજૂ કર્યું હતું. પ્રારંભિક બજેટમાં રૂ.95 કરોડનો કરબોજ, પાણી વેરામાં વધારો તેમજ ગાર્બેજ કલેકશન ચાર્જમાં બે ગણો વધારો સૂચવવામાં આવ્યો હતો. જોકે, ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખી શાસક પક્ષે આ તમામ વેરા વધારાને ફગાવી દેતાં રૂ.14.20 કરોડના વધારાની સાથે રૂ.47 કરોડની નવી યોજનાઓ ઉમેરવામાં આવી છે અને કુલ રૂ.3604.90 કરોડનું લોકભોગ્ય બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.
3. મિલ્કતવેરામાં ચડત વ્યાજ પર 5000, પાણીવેરામાં પણ 5000 રૂપિયાની વ્યાજમાફી
આ બજેટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકતધારકોને મોટી રાહત આપવામાં આવી છે. બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સ પર વસુલાત થતા ચડત વ્યાજમાં રહેણાંક તથા બિન-રહેણાંક મિલકતો માટે રૂ.5,000 સુધીનું વ્યાજ માફ કરાશે. ઉપરાંત, બાકી પાણી વેરા પરના ચડત વ્યાજમાં પણ રૂ.5,000 સુધીની માફી આપવામાં આવશે. આમ કુલ મળીને રૂ.10,000 સુધીનું વ્યાજ માફ કરવાની યોજના અમલમાં મુકાશે. આ યોજના આવતીકાલથી અમલમાં આવશે અને આગામી તા.31 માર્ચ સુધી માન્ય રહેશે.
વર્તમાન ભાજપ શાસનની બીજી ટર્મ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીએ મહાનગરપાલિકાની આવક-ખર્ચ, સેવા અને જવાબદારીઓને ધ્યાનમાં રાખી ગહન અભ્યાસ અને વિચાર-વિમર્શ બાદ આ અંદાજપત્રને મંજૂરી આપી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરજનો માટે લોકભોગ્ય બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.
આજના આ બજેટમાં ખાસ શહેરમાં મહિલાઓ માટે નવી 3 પિન્ક બસ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે જેમાં ડ્રાઇવર અને કંડકટર બન્ને મહિલા હશે આ ઉપરાંત બસમાં મુસાફરી કરતા સમયે માતાની સાથ તેમન 12 વર્ષ સુધીનું સંતાન સાથ હશે તો તેમન માટે નિઃશુલ્ક મુસાફરી આપવા નિર્ણય કરાયો છે.
બજેટમાં મુખ્યત્વે ‘ન.ગ.ર.’ એટલે કે નળ, ગટર અને રસ્તા જેવા મૂળભૂત કામો ઉપરાંત સફાઈ, સ્ટ્રીટલાઇટ, આરોગ્ય સેવાઓ, રમતગમત સુવિધાઓ, ફરવાના સ્થળો, ગાર્ડન અને વૃક્ષારોપણ, સિટી બસ સેવા, નવી પ્રાથમિક શાળાઓ, યોજનાકીય કેમ્પો દ્વારા ‘મહાનગરપાલિકા તમારા દ્વાર’ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ તહેવારો અને પર્વો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા નાગરિકોને મનોરંજન પૂરું પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
છેલ્લા 1.5 વર્ષ દરમિયાન હોસ્પિટલ ચોક, નાનામવા, રામાપીર ચોક, જડ્ડુસ ચોક અને તાજેતરમાં કે.કે.વી. હોલ ચોક ખાતે મલ્ટીલેવલ ‘શ્રી રામ બ્રિજ’નું લોકાર્પણ કરીને રાજકોટની ટ્રાફિક સમસ્યા હળવી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હોવાનું પણ બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
