સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ: 3 મહિનામાં તમામ રાજ્યોને સ્કૂલોમાં છોકરીઓ માટે ટોયલેટ-સેનેટરી સુવિધા નહી તો માન્યતા થશે રદ
એક અત્યંત મહત્વપૂર્ણ આદેશમાં સુપ્રીમ કોર્ટે દેશની તમામ ખાનગી અને સરકારી સ્કુલોમાં છોકરીઓ માટે સેનિટરી પેડ તથા અલગ શૌચાલયની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. સ્કુલોએ છોકરીઓ માટે પાણીની વ્યવસ્થા પણ કરવી પડશે. આ આદેશનો અમલ ત્રણ માસમાં કરવાનો રહેશે અને જો કોઈ સ્કુલ અમલ કરવામાં નિષ્ફળ જશે તો તેની માન્યતા રદ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી છે.
આ મહત્વપૂર્ણ ચુકાદો શાળાઓમાં માસિક સ્રાવ દરમિયાન છોકરીઓને પડતી સમસ્યાઓ અંગે દાખલ કરવામાં આવેલી અરજી બાદ આપવામાં આવ્યો છે. આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે, બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવન જીવવાના અધિકારમાં માસિક ધર્મના સ્વાસ્થ્યનો અધિકાર શામેલ છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ નિર્ણય ફક્ત સિસ્ટમમાં રહેલા લોકો માટે જ નહીં, પરંતુ એવા વર્ગખંડો માટે પણ છે જ્યાં છોકરીઓ મદદ લેતા અચકાય છે. તેમજ શિક્ષકો માટે પણ છે જે મદદ કરવા માંગે છે પરંતુ સંસાધનોના અભાવે તેમ કરવામાં અસમર્થ છે.
આ પણ વાંચો :બજેટમાં સિનીયર સિટીઝનને રેલવે ટિકિટમાં મળશે છૂટછાટ? રેલવે મંત્રાલય-નાણા મંત્રાલય વચ્ચે ચર્ચાઃ કોરોના વખતે આ છૂટ સ્થગિત કરવામાં આવી’તી
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ આદેશ એવા માતાપિતા માટે પણ છે જેઓ તેમના મૌનને સમજી શકતા નથી.તેમજ સમગ્ર સમાજ માટે પણ છે જેમાં પ્રગતિ સાથે આપણે સૌથી સંવેદનશીલ લોકોનું રક્ષણ કેવી રીતે કરી શકીએ છીએ.
કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે અમે આ સંદેશ દરેક એવી છોકરીઓને પણ મોકલવા માંગીએ છીએ જે શાળાએ જઈ શકતી નથી કારણ કે તેના શરીરને બોજ સમજવામાં આવે છે. પરંતુ તેમાં તેની કોઈ ભૂલ નથી. કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ અને કાનૂની સમીક્ષા અહેવાલોથી આગળ આ સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચવો જોઈએ.
કોર્ટે તેના આદેશમાં જણાવ્યું છે કે, તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એ બાબત સુનિશ્ચિત કરે કે દરેક સરકારી અથવા ખાનગી શાળામાં છોકરીઓ માટે અલગ શૌચાલય અને પાણીની સુવિધા ઉપલબ્ધ છે. તમામ નવી શાળાઓમાં પ્રાઈવસી સુનિશ્ચિત કરવામાં આવે. તેમજ તેમાં દિવ્યાંગજનો માટેના સંકેતો પણ ધ્યાન રાખવા આવે. તેમજ બધા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સુનિશ્ચિત કરે કે દરેક શાળાના શૌચાલય પરિસરમાં બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડ ઉપલબ્ધ હોય. તેમજ માસિક ધર્મ સંબંધિત આકસ્મિક સ્થિતીને પહોંચી વળવા માટે વધારાના યુનિફોર્મ અને અન્ય આવશ્યક સામગ્રીઓ માટે માસિક ધર્મ સ્વચ્છતા પ્રબંધન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવે.
