બે ફોજદાર ફસાયા કાયદાની આંટીઘૂંટીમાં: ભાવનગરના હેડ કોન્સ્ટેબલના આપઘાત તથા યુવકને માર મારવાના કેસમાં બે PSI સામે નોંધાયો ગુનો
ભાવનગર જિલ્લામાં હેડ કોન્સ્ટેબલના આપઘાતના તેમજ માલધારી યુવકને માર મારવાના બે બનાવમાં બે PSI સામે રજૂઆત અને માંગણી સાથે ગુના નોંધાયા છે.
ભાવનગર જિલ્લાના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે આપઘાત કરી લીધો હતો જેમાં PSI ગોસ્વામીના ત્રાસથી પગલું ભર્યાનું અને PSI સામે ગુનો નોંધવા કરણી સેના, ભાવનગર ક્ષત્રિય સમાજ દ્વારા એસપીને રજૂઆત કરાઈ હતી. કામ બાબતે ત્રાસ આપી અપમાનિત કરાયા હોવાથી આપઘાત કર્યાના આરોપ મુકાયા હતા. તપાસને અંતે PSI ગોસ્વામી સામે ગુનો નોંધાયો છે.
બીજા બનાવમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે ગત તા.21-1-2026ના રોજ PSI અને માલધારી યુવક વચ્ચે મારામારીની ચકચારી ઘટનામાં મોટા ખૂંટવડા પોલીસ સ્ટેશનના PSI આર.જે. યાદવ સરકારી ગાડી લઈને પસાર થયા હતા અને રસ્તામાં ભેંસ આડી ઉતરતા અને માલધારી યુવકને દૂર ખસેડી લેવાનું કહી PSI સહિતનાએ માલધારી યુવકને ભાવેશ ચૌહલાને લાકડી વડે ઢોરમાર માર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.
માલધારી યુવકને માર મારવાના કેસમાં PSI આર.જે. યાદવ, અન્ય ત્રણ વ્યક્તિઓ જેમાં જાડેજાભાઈ, જસકુભાઈ કામળીયા, જીઆરડી જવાન નાગજીભાઈ પર ગુનો નોંધાયો છે. ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એચ. કુરેશી દ્વારા વધુ તપાસ હાથ ધરી છે. બનાવ બન્યો ત્યારે PSI યાદવ દ્વારા ફરજ રૂકાવટ સહિતની કલમ હેઠળ માલધારી ઈસમ સામે ગુનો નોંધાવ્યો હતો જેમાં વળતી ફરિયાદ થઈ છે.
