રાજકોટના સાંઢિયા પુલ પર ગર્ડર મુકવા રેલવેનું ‘ગ્રીન સિગ્નલ’: ફેબ્રુઆરીના અંતમાં બ્રિજ તૈયાર, નિર્માણ કાર્ય 88% જેટલું પૂર્ણ
રાજકોટના સૌથી જૂના એવા જામનગર રોડ પર આવેલા સાંઢિયા બ્રિજનું નિર્માણકાર્ય 88% જેટલું પૂર્ણ થઈ જવા પામ્યું છે અને બાકી રહેતું 12% કામ પૂર્ણ કરવા માટે રેલવે વિભાગની મંજૂરીની ખૂબ જ જરૂરિયાત હોય ઘણા લાંબા સમયથી ચાલી રહેલી આ પ્રક્રિયાના અંતે આખરે રેલવેએ પણ મંજૂરી આપી દેતાં હવે ઝડપથી બ્રિજ માટે અત્યંત મહત્ત્વના એવા ગર્ડર મુકવાનું શરૂ કરી આખોયે બ્રિજ ઉભો કરી દેવામાં આવશે. 74 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો આ બ્રિજ ફેબ્રુઆરીના અંત સુધીમાં તૈયાર કરી દેવાની ગણતરી સાથે હાલ અધિકારીઓ અને પદાધિકારીઓ આગળ વધી રહ્યા છે.
આ અંગે અધિકારી સૂત્રોએ જણાવ્યું કે બ્રિજના તમામ પીલરનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે સાથે સાથે પોતાની હદમાં આવતા વિસ્તારમાં બ્રિજનું કામ મહદ અંશે પૂરું થઈ ગયું છે. જો કે બ્રિજની વચ્ચે રેલવેના પાટા આવતા હોય બ્રિજને જોડવા માટે ત્યાં ગર્ડર મુકવાનું હોવાથી રેલવે વિભાગની મંજૂરી લેવી જરૂરી હતી. આ મંજૂરી માંગવામાં આવતા ગર્ડર લોન્ચીંગના કામને બહાલી આપી દેવામાં આવી હતી. હવે બ્લોક ફાળવવા માટેનો સમય માંગવામાં આવ્યો છે. બ્લોક મતલબ કે ગર્ડર લોન્ચીંગ સહિતની કામગીરી ચાલી રહી હોય ત્યારે અહીંથી ટ્રેન પસાર થવી ન જોઈએ. જો આમ થાય તો જ ગર્ડર મુકી શકાય તેમ છે.
આ માટે એક સાથે બ્લોકનો સમય મળી શકે તેમ ન હોવાથી મહાપાલિકા દ્વારા ત્રણ કે ચાર દિવસ સુધી બે-બે કલાકનો બ્લોક ફાળવવાની મંજૂરી મંગાઈ છે જે પણ ટૂંક સમયમાં મળી જશે. સંભવતઃ આવતા સપ્તાહથી ગર્ડર મુકવાનું કામ શરૂ કરી દીધા બાદ ચારેક દિવસમાં ગર્ડરનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. આ કામ પૂર્ણ થયા બાદ બાકીનું કામ પરચૂરણ હોય તેને પૂરું કરવા માટે લાંબો સમય લાગે તેમ ન હોવાથી ફેબ્રુઆરીના અંત અથવા તો માર્ચના પ્રારંભ સુધીમાં બ્રિજ બનીને તૈયાર થઈ જશે.
આ પણ વાંચો :વિરાટના ફેન્સ માટે ગુડ ન્યૂઝ: કિંગ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી એક્ટિવ થયું, ડિલીટ, હેક કે સસ્પેન્ડ? અનેક સવાલ ઉઠયા
બ્રિજ 602.90 મીટર લાંબો, 16.40 મીટર પહોળો હશે
નવા બની રહેલા સાંઢિયા બ્રિજ કે જે ફોર-લેન હશે તેની લંબાઈ 602.90 મીટર એટલે કે પોણો કિલોમીટર જેટલો લાંબો હશે જ્યારે તેની પહોળાઈ 16.40 મીટરની હશે જે જૂના બ્રિજ કરતા વધુ છે. આ ઉપરાંત બ્રિજની બન્ને બાજુ 7.50 મીટર પહોળાઈના કેરેજ-વે બનાવવામાં આવશે અને સેન્ટ્રલ મીડિયમની પહોળાઈ 0.50 મીટરની રહેશે.
ગર્ડર લોન્ચીંગ વખતે રેલવેનો 35 લોકોનો સ્ટાફ રહેશે તૈનાત
આ અંગે સેન્ટ્રલ ઝોનના સિટી ઈજનેર અતુલ રાવલે જણાવ્યું કે સાંઢિયા બ્રિજ પર જ્યારે ગર્ડર લોન્ચીંગ કરવામાં આવશે ત્યારે રેલવેના અલગ-અલગ વિભાગ જેવા કે સિગ્નલિંગ, ઈલેક્ટ્રિકલ, એન્જિનિયરિંગ સહિતના 35 લોકોનો સ્ટાફ તૈનાત રહેશે. આ તમામ સેટઅપ ગોઠવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે જે એકાદ-બે દિવસમાં પૂર્ણ થયા બાદ બ્લોક ફાળવી દેવામાં આવશે.
