રાજકોટના હીરાસર એરપોર્ટ ઉપર આજે બપોરે PM મોદીનું ટૂંકુ રોકાણ: સાંજે સોમનાથ પહોંચી ટ્રસ્ટની બેઠકમાં આપશે હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસનો શનિવારે બપોરે રાજકોટથી પ્રારંભ થઇ રહ્યો છે. તેઓ તા. 10ને શનિવારે બપોરે રાજકોટ આવ્યા બાદ સીધા સોમનાથ જશે અને ત્યાં ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે. બીજા દિવસે એટલે કે રવિવારે શૌર્યયાત્રા અને જાહેરસભા સંબોધી તેઓ બપોરે 1-20 વાગ્યે રાજકોટ આવશે અને વાઈબ્રન્ટ સમિટમાં હાજરી આપશે.
વડાપ્રધાનના આ કાર્યક્રમ પૂર્વે તમામ તૈયારી પૂરી કરી લેવામાં આવી છે. વડાપ્રધાન દિલ્હીથી બપોરે 2-30 વાગ્યે એરફોર્સના વિમાનમાં નીકળી 4-25 વાગ્યે રાજકોટના હીરાસર એરપોર્ટ ઉપર આવશે અને ત્યાંથી એમઆઈ-17 હેલીકોપ્ટરમાં તરત જ સોમનાથ જશે. સોમનાથમાં સાંજે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે. સુત્રો અનુસાર, આ બેઠકમાં સોમનાથ પરિસર ડેવલપમેન્ટને લગતા કેટલાક નિર્ણયો લેવામાં આવશે.
આ પછી તા. 11મીને રવિવારે તેઓ સવારે મહાદેવની પૂજા કરશે અને ત્યારબાદ શૌર્ય યાત્રામાં ભાગ લેશે. આ પછી જાહેરસભા સંબોધી તેઓ બપોરે 1-20 વાગ્યે મારવાડી યુનિવર્સિટીની બાજુમાં હેલિપેડ ઉપર પહોંચશે અને પછી ત્યાંથી વાઈબ્રન્ટ સમિટમાં આવી ટ્રેડ શો, એક્ઝીબીશન અને રિજિયોનલ કોન્ફરન્સને ખુલ્લી મુકશે.
આ પછી તેઓ બપોરે 4 વાગ્યે હીરાસર એરપોર્ટ થઈને અમદાવાદ જશે અને ત્યાં સોમવારે ગાંધીઆશ્રમની મુલાકાત, પતંગોત્સવ, મેટ્રો રેલના ફેઝનું ઉદઘાટન અને જર્મન ચાન્સેલર સાથે મુલાકાત સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે.
