રાજકોટ: રૂ.24.85 કરોડના ખર્ચે નાકરાવાડીમાં એંઠવાડ-સૂકા પાંદડામાંથી બનશે ખાતર,ઘોડાની નાલ જેવા આકારનો હશે પ્લાન્ટ
દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં જેના કારણે નોંધપાત્ર માર્કસ કપાઈ જાય છે તે નાકરાવાડી ડમ્પીંગ સાઈટ ઉપર કચરાના ઢગલા ઓછા થવાનું નામ લઈ રહ્યું નથી અને દરરોજનો કચરો ઠલવાતો હોવાને કારણે તેમાં વધારો થઈ રહ્યો છે. આ જ કારણથી રાજકોટ મહાપાલિકા દ્વારા હવે કચરાનું વર્ગીકરણ કરી તેમાંથી ખાતર બનાવવા માટે નાકરાવાડી, કોઠારિયા અને કે.એસ.ડીઝલ પાસેના વિસ્તારમાં પ્લાન્ટ બનાવવાનું હાથ પર લેવામાં આવ્યું છે ત્યારે નાકરાવાડી ખાતે 24.85 કરોડના ખર્ચે એંઠવાડ અને સૂકા પાંદડામાંથી ખાતર બનાવવાના પ્લાન્ટ અને દસ વર્ષ સુધી તેના મેઈન્ટેન્સનું કામ આપવા થયેલી દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી.
આ અંગે વધુમાં જાણવા મળેલી વિગતો પ્રમાણે તંત્ર દ્વારા 150-150 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરી તેમાંથી ખાતર તૈયાર કરી શકે તેવા ત્રણ પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો છે. નાકરાવાડી ખાતે જે પ્લાન્ટ બનવાનો છે જેમાં વેટ વેસ્ટ એટલે કે ભીનો કચરામાંથી ખાતર બનાવવામાં આવશે. ઘોડાની નાળ જેવાઆકારના આ પ્લાન્ટમાં એજન્સી દ્વારા ભીના કચરાનો ઢગલો કરવામાં આવશે ને ખાતર બનાવવાની પ્રક્રિયા શરૂ કરશે. ત્યારપછી તેમાં સીડિંગ્સ એટલે કે ખાસ બેક્ટેરિયા ભેળવવામાં આવશે. આ પ્રક્રિયા થયા બાદ કચરાનો ઉપર-નીચે કરીને બાયોડિપગે્રડેશન મતલબ કે ચારણી જેવા મશીનમાં નાખશે એટલે ખાતર તૈયાર થઈ જશે.
આ કામ માટે મહાપાલિકા 10 વર્ષ સુધી એમ.વી.દેસાઈ જે-વી પરમેનેન્ટ સોલ્યુશન સર્વિસને 14.72% વધુ ભાવથી કામ આપી કુલ 24.85 કરોડ રૂપિયા ચૂકવશે. ખાતર તૈયાર થયા બાદ તેનું વિતરણ પણ એજન્સી દ્વારા જ કરાશે.
7.50 લાખ ટન કચરાનો બે દિ’થી નિકાલ શરૂ 10,000 મેટ્રિકટન માંથી ખાતર બન્યું
નાકરાવાડી ડમ્પીંગ સાઈટ પર જાવ એટલે કચરાના પહાડ ખડકાયેલા જોવા મળશે. આ મામલો કોર્ટ સુધી પહોંચ્યા બાદ આખરે તંત્ર દ્વારા કચરાનો નિકાલ કરનાર એજન્સીની જગ્યાએ અન્ય એજન્સીને કામ આપ્યું હતું. ડી.એચ.પટેલ નામની એજન્સી દ્વારા બે દિવસથી 7.50 લાખ ટન કચરાના નિકાલનું કામ શરૂ કરાયું છે અને બે દિવસમાં 10,000 મેટ્રિક ટન કચરામાંથી ખાતર બનાવવામાં આવ્યાનું જાણવા મળ્યું હતું. એકંદરે તંત્ર છ મહિનામાં સંપૂર્ણ કચરાનો નિકાલ થઈ જાય તેવો ઈરાદો રાખી રહ્યું છે.
