એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થતાં જ એન્જિન બંધ પડ્યું! દિલ્હીમાં અમદાવાદ જેવી વિમાની દુર્ઘટના ટળી,જાણો શું છે સમગ્ર ઘટના
ગત 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનમાં ટેક ઓફ વખતે જ ખામી સર્જાતાં મોટી દુર્ઘટના બની હતી. હવે ફરીવાર આવી જ ઘટના બની હતી પણ સદનસીબે બધા ઉતારું બચી ગયા છે. એર ઇન્ડિયાના વિમાનમાં ફરી એકવાર ગંભીર ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સોમવારે સવારે દિલ્હીના આઈજીઆઈ ઍરપોર્ટ પરથી મુંબઈ માટે ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ વિમાનનું એક એન્જિન હવામાં બંધ પડી ગયું હતું, જેના પગલે વિમાનનું દિલ્હીમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને તમામ મુસાફરો સુરક્ષિત છે.
આ ઘટના એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 887 સાથે બની હતી, જેણે સોમવારે સવારે 6:40 વાગ્યે દિલ્હીથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના થોડીવારમાં જ પાઇલટને વિમાનમાં ખામી હોવાનું જણાયું હતું. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે વિમાનનું જમણું એન્જિન હવામાં જ બંધ થઈ ગયું હતું. આ ગંભીર પરિસ્થિતિને પગલે, દિલ્હી ઍરપોર્ટ પર તાત્કાલિક ‘ફુલ ઇમરજન્સી’ જાહેર કરવામાં આવી હતી અને પ્રોટોકોલ મુજબ તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આ પણ વાંચો :ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ
એર ઇન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું કે, “ફ્લાઇટ AI887માં ટેકનિકલ સમસ્યાને કારણે (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) મુજબ તેને દિલ્હી પરત લાવવામાં આવી હતી. વિમાને દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું અને તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે.”
એર ઇન્ડિયાના વિમાનોમાં ખામીની આ કોઈ પહેલી ઘટના નથી. ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષે અમદાવાદમાં લંડન માટે ઉડાન ભરતાં જ એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં વિમાનમાં સવાર એક મુસાફરને બાદ કરતાં અન્ય તમામ લગભગ 250 લોકોના કરુણ મોત થયા હતા.
