આંધ્ર અને ઓડિશામાં કોણે લીધા શપથ ? જુઓ
મોદી સરકારને ત્રીજી વખત લોકસભામાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રી તરીકે નાયડુનો આ ચોથો કાર્યકાળ હશે. ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશે પણ મંત્રી પદના શપથ લીધા. જનસેનાના વડા અને દક્ષિણ ફિલ્મ સ્ટાર અભિનેતા પવન કલ્યાણે નાયડુ કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા. તેમને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે કેસરપલ્લી આઈટી પાર્ક ખાતે મુખ્યમંત્રી અને અન્ય તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.
એ જ રીતે ઓડિશાના મુખ્યમંત્રી તરીકે મોહન માઝીએ પોતાના સાથીઓ સાથે શપથ લીધા હતા. એમની સાથે 2 નાયબ મુખ્યમંત્રી તરીકે પ્રવિતા પરીદી અને કે. વી. સિંહદેવે શપથ લીધા હતા. સાંજે ભુવનેશ્વરમાં આ સમારોહ યોજાયો હતો અને વડાપ્રધાન તેમાં પણ હાજર રહ્યા હતા. અમિત શાહ સહિતના નેતાઓએ એમને અભિનંદન આપ્યા હતા.
ચંદ્રાબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમણે ચંદ્રબાબુ નાયડુને ગળે લગાવ્યા અને રાજ્યના મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા. પીએમ મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ, માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી, આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એનવી રમના અને અભિનેતા રજનીકાંત અને ચિરંજીવી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ અને સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. .
નાયડુ સૌથી વધુ વખત આંધ્રના મુખ્યમંત્રી બન્યા
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશ સરકારમાં ચોથી વખત મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. આ પહેલા તેઓ 1995 થી 2004 સુધી સતત બે ટર્મ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ત્યારબાદ 2014માં તેલંગાણા રાજ્ય આંધ્રપ્રદેશથી અલગ થઈ ગયું અને બાદમાં તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યા અને 2014 થી 2019 સુધી તેમનો ત્રીજો કાર્યકાળ પૂર્ણ કર્યો. 2019ની વિધાનસભા ચૂંટણીમાં નાયડુ હારી ગયા અને વાયએસઆરસીપીએ સરકાર બનાવી. જગનમોહન રેડ્ડી મુખ્યમંત્રી બન્યા.
નાયડુ ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ 24મા મુખ્યમંત્રી બન્યા છે. તેમણે આંધ્રપ્રદેશમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આજે શપથગ્રહણની સાથે જ નાયડુ કેબિનેટમાં ટીડીપીના 21, જનસેના પાર્ટીના 3 અને બીજેપીના માત્ર એક મંત્રીને મંત્રી બનાવવામાં આવ્યા છે.