સીમકાર્ડ ખરીદીના નવા નિયમ ક્યારથી ? જુઓ
- શું ફેરફાર છે નિયમમાં ?
- તકલીફ નહીં પડે કોઈને
નવા વર્ષ એટલે કે ૨૦૨૪ની પહેલી તારીખથી સિમ કાર્ડના નિયમોમાં ધરમૂળથી ફેરફાર થવાનો છે. આ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશ બહાર પાડી આદેશ પણ જારી કરી દીધો હતો. સરકારના આદેશ મુજબ હવે સિમકાર્ડ ખરીદનારા અને વેચનારા બંનેએ નવા નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો કે નવું કાર્ડ લેવામાં કોઈ પરેશાની નહીં થાય.
નવા નિયમોનું ઉલ્લંઘન કરનારે મોટું નુકસાન પણ ભોગવવું પડી શકે છે. અગાઉ નવું સિમકાર્ડ ખરીદવા આધારકાર્ડની વિગતો, નામ-ઠેકાણું વગેરે જેવી બાબતો પેપર ફોર્મ પર લખવામાં આવતી હતી, જોકે હવે આ પદ્ધતિને 1 જાન્યુઆરી-2024થી બંધ કરી દેવામાં આવશે. સરકારે સિમ કાર્ડ ખરીદનારા માટે નવી સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધાના કારણે હવે યુઝર્સો પેપર ફોર્મ પદ્ધતિ વગર નવું સિમકાર્ડ મેળવી શકશે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગે તાજેતરમાં જ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં 1 જાન્યુઆરી-2024થી પેપર ફોર્મ પદ્ધતિથી થતી કેવાયસી કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં વધતા જતી સાઈબર ક્રાઈમની ઘટનાઓને ધ્યાને રાખી સરકારે સિમ કાર્ડ ખરીદવા માટેની જૂની પદ્ધતિને બંધ કરી નવી પદ્ધતિ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
સિમ કાર્ડ ખરીદવાના નવા નિયમોના કારણે નકલી સિમ કાર્ડ પર પણ સકંજો કસાશે. ઉપરાંત સરકાર સિમ સેલ પોઈન્ટની માહિતી પણ સરળતાથી મેળવી શકશે. જો ભવિષ્યમાં કોઈ ક્રાઈમ થશે તો પોઈન્ટ ઓફ સેલ દ્વારા જે-તે સીમકાર્ડ ધારકની પૂછપરછ પણ થઈ શકે છે. નવું સિમકાર્ડ ધારકની તમામ વિગતો સરકાર પોતાની પાસે રાખશે.
