વડોદરામાં નવમા માળેથી પડતું મૂકી યુવકનો આપઘાત ; કયા કારણસર પગલું ભર્યું એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા યુવકે માંજલુપર વિસ્તારમાં આવેલી ડ્રીમ આઇકોનિયા બિલ્ડીંગના નવમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે શહેરની સયાજી હોસ્પિટલન ખાતે ખસેડ્યો છે.
વધુ માહિતી મુજબ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતો અને માંજલપુર વિસ્તારમાં લોન્ડ્રીની દુકાન ધરાવતો યુવકે માંજલપુર વિસ્તારમાં આવેલી ડ્રીમ આઈકોનિયાના બિલ્ડિંગના નવમા માળેથી અગમ્ય કારણોસર પડતું મૂક્યું. આ યુવકનું નામ બ્રિજેશ દશરથભાઈ પરદેશી (ઉંમર વર્ષ 45) કે જેઓ શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા ધોબી શેરીમાં તેઓનાં માતા-પિતા સાથે રહેતા હતા.આ બનાવ અંગે માંજલપુર પોલીસે આ યુવક આ બિલ્ડિંગમાં કયા કારણોસર ગયો અને શા માટે આ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ યુવકના પરિવારમાં માતા-પિતા ઉંમરલાયક છે અને તેઓની બહેનનાં લગ્ન થયેલાં છે. મૃતક યુવકની બહેન મુંબઈ ખાતે રહે છે અને તેઓ પરત આવ્યા બાદ આ યુવકના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હાલમાં માંજલપુર પોલીસે આ યુવકે કરેલી આત્મહત્યા પાછળનું કારણ શું છે તે જાણવા પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરી છે.