બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ ? વાંચો
સુપ્રીમ કોર્ટે યુપીના પ્રયાગરાજમાં 2021માં થયેલા બુલડોઝર એક્શન પર મંગળવારે નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઑથોરિટીને 5 અરજીકર્તાઓને 10-10 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો હતો. આ વળતર 6 અઠવાડિયાની અંદર આપવાનો રહેશે. કોર્ટે એ પણ કહ્યું કે નોટિસ મળ્યાના 24 કલાકની અંદર મકાન પાડવાનું કામ ખોટું હતું અને તેને ગેરકાયદેસર માન્યું છે.
અદાલતે કહ્યું કે આ વળતર એટલા માટે પણ જરૂરી છે કે જેથી ભવિષ્યમાં સરકાર યોગ્ય પ્રક્રિયા વિના લોકોના મકાન પાડવાનું ટાળે. જજોએ તાજેતરમાં જ સામે આવેલા એક વીડિયોનો પણ હવાલો આપ્યો, જેમાં ધ્વસ્ત થતી ઝૂંપડીથી એક બાળકી પોતાના પુસ્તકો લઈને ભાગી રહી હતી.
ઉત્તર પ્રદેશના આંબેડકર નગરનો એક વીડિયો 23 માર્ચે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં એક બાળકી બુલડોઝરની કાર્યવાહી દરમિયાન પોતાની ઝૂંપડી તરફ દોડતી નજર આવી રહી છે. બાળકી ઝૂંપડીની પાસે પહોંચીને પોતાની પુસ્તકો લઈને જલ્દીથી બહાર આવે છે.
સુપ્રીમ કોર્ટે આ પહેલા 7 માર્ચે ઉત્તર પ્રદેશ સરકારને બુલડોઝર કાર્યવાહીને લઈને આકરી ફટકાર લગાવી હતી. પીડિતોનું કહેવું હતું કે રાજ્ય સરકારે ભૂલથી તેની જમીનને ગેંગસ્ટર અતીક અહેમદની સંપત્તિ માની લીધી. તેના કારણે પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને ત્રણ અન્ય લોકોના ઘર પાડી દીધા હતા.