આજે અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડીયમમાં આજે એલિમિનેટર મેચ રમવાની છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એલિમિનેટર મેચ પહેલા વિરાટ કોહલીને અમદાવાદમાં ધમકી મળી હતી જેના કારણે RCBએ તેની એકમાત્ર પ્રેક્ટિસ મેચ રદ કરી હતી. આ સિવાય મેચ પહેલા કોઈ પ્રેસ કોન્ફરન્સ થઈ ન હતી. એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આજથી બે દિવસ પહેલા જ ગુજરાત ATS દ્વારા ૪ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આચી હતી ત્યારે હવે વિરાટ કોહલીને ધમકી મળ્યાના આ સમાચાર સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
આ મેચ પહેલા આનંદબજાર પત્રિકાના એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલીને ધમકીઓ મળી હતી જેના કારણે RCBએ પ્રેક્ટિસ મેચ અને પ્રેસ કોન્ફરન્સ રદ કરી દીધી હતી. મળતી માહિતી મુજબ, ગુજરાત પોલીસે સોમવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ચાર શકમંદોની ધરપકડ કરી હતી. જો કે હજુ સુધી બંને ટીમો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
પોલીસ અધિકારીએ શું આપ્યું નિવેદન ?
આ મામલે પોલીસ અધિકારી વિજય સિંહ જ્વાલાએ જણાવ્યું હતું કે, “વિરાટ કોહલીને અમદાવાદ પહોંચ્યા બાદ તેમને આતંકીઓની ધરપકડની જાણ થઈ. તેની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. RCB જોખમ લેવા માગતું ન હતું. તેઓએ અમને જાણ કરી હતી કે પ્રેક્ટિસ સેશન નહીં હોય. રાજસ્થાન રોયલ્સને પણ આ વિશે જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓને તેમની પ્રેક્ટિસમાં આગળ વધવામાં કોઈ સમસ્યા નહોતી.”
અમદાવાદમાં ટીમ હોટલોની બહાર સુરક્ષા સઘન
આરસીબીની ટીમ હોટલની બહાર સુરક્ષા કડક કરવામાં આવી હતી. RCB ટીમના તમામ સભ્યો માટે અલગ પ્રવેશદ્વાર હતો, જે હોટેલમાં અન્ય કોઈ મહેમાન માટે ઉપલબ્ધ નહોતું. IPL-માન્યતા પ્રાપ્ત મીડિયા કર્મચારીઓને પણ હોટેલ પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આરઆર ટીમ “ગ્રીન કોરિડોર” નો ઉપયોગ કરીને મેદાન પર પહોંચી હતી. ત્રણ પોલીસ કાફલાએ તેમની ટીમની બસને એસ્કોર્ટ કરી હતી. કેપ્ટન સંજુ સેમસન મોડો પહોંચ્યો. રવિચંદ્રન અશ્વિન, રેયાન પરાગ અને યુઝવેન્દ્ર ચહલે પ્રેક્ટિસ સેશન છોડીને હોટેલમાં રોકાવાનું નક્કી કર્યું. તાલીમમાં હાજર આરઆર ખેલાડીઓ ભારે સુરક્ષા કવચ હેઠળ હતા. પોલીસકર્મીઓ આખા મેદાનમાં પેટ્રોલિંગ કરતા હતા.