રાજકોટ જિલ્લમાં ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોના રોડ-રસ્તાઓને નુકશાન થયું છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાડાના કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. રાજકોટમાં ચોમાસું શરુ થયા બાદ મેઘરાજા અનેક જગ્યાએ વરસ્યા પણ વરસાદના કારણે અનેક જગ્યાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટમાં પાણી નિકાલ માટે ખોલેલી ગટરમાં વૃદ્ધ ખાબક્યા હતા.
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારની છે જ્યાં વરસાદ વરસ્યા બાદ તંત્રની પોલ ખુલી ગઈ છે. ગ્રીનલેન્ડ ચોકડીએ વરસાદી પાણીના નિકાલ માટે ગટરની કુંડી ખુલી રાખતા એકટીવા લઈને ત્યાંથી નીકળેલા વૃદ્ધ ફસાયા હતા. ત્યારે સ્થાનિકોએ વૃદ્ધને ગટરની કુંડીમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટના બાદ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ ઘટના બાબતે વિજયભાઇ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, વરસાદ પડે એટલે આવી બે ઘટનાઓ રોજ બને છે. આ હાઇવે અને કોર્પોરેશનની મીલીભગત છે. આ સંદર્ભે અનેક રજૂઆતો તંત્રને કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી કે જવાબ આપવામાં આવતો નથી. આ વિસ્તારમાં 2007માં રોડ બન્યો હતો. ત્યાં સર્વિસ રોડમાં સ્ટ્રીટ લાઇટ માટે રજૂઆત કરી છે પરંતુ તેનો પણ ઉકેલ આવ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારી આવા રસ્તાઓના રિસરફેસીંગ તથા રીપેરીંગ માટે કુલ રૂ. ૧૦૦ કરોડની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે.નગરો શહેરોમા વસવાટ કરતાં લોકોને સારા રસ્તાની સુવિધા સાથે માર્ગ સલામતી મળે અને ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય એવો જનહિત ઉદ્દેશ્ય મુખ્યમંત્રીએ આ નાણાં ફાળવણીમાં રાખ્યો છે.