વાઈબ્રન્ટ સમિટ: અંબાણી-અદાણી સહિતના ઉદ્યોગપતિઓના ચાર્ટર વિમાન રાજકોટના જૂના એરપોર્ટ ઉપર આવશે
રાજકોટમાં રવિવારે યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે જુદા જુદા દેશોના રોકાણકારોનું રાજકોટમાં આગમન થઇ ગયુ છે અને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પણ શરુ થઇ ગઈ છે.આ સમિટમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સહિતના અનેક માંધાતાઓ પણ રાજકોટ આવી રહ્યા છે અને આ તમામના ચાર્ટર વિમાન-હેલીકોપ્ટર જુના એરપોર્ટ ઉપર લેન્ડ થશે તેવું જાણવા મળ્યુ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, વાઈબ્રન્ટના બે દિવસ જુના એરપોર્ટ ઉપર અને હીરાસર એરપોર્ટ ઉપર રૂટીન ફ્લાઈટ ઉપરાંત વીવીઆઈપી મુવમેન્ટ રહેવાની છે. અત્યાર સુધીમાં 20થી વધુ ચાર્ટર વિમાન અને હેલીકોપ્ટર માટે બુકિંગ થઇ ગયું છે અને હજુ ઇન્ક્વાયરી ચાલુ જ છે.
આ સુત્રોએ એમ પણ કહ્યું હતું કે, 11મીએ જુના એરપોર્ટ ઉપર છ જેટલા હેલીકોપ્ટર લેન્ડ થવાના છે અને તેમાં મોટા ગજાના ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે. કંપનીઓ તરફથી બુકિંગ આવી ગયા છે.
રિલાયન્સના મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી,નીરમા ગ્રુપના કરસનભાઈ પટેલ સહિતના ઉદ્યોગપતિઓ રાજકોટ આવી રહ્યા છે અને આ તમામના ચાર્ટર વિમાન અને હેલીકોપ્ટર જુના એરપોર્ટ ઉપર લેન્ડ થશે. આ ઉદ્યોગપતિઓ જુના એરપોર્ટથી બાય કાર રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ અને માધાપર ચોકડી થઈને બેડી પાસે મારવાડી યુનિવર્સીટી પહોંચશે. મોટાભાગે આ તમામ સવારના ભાગે જ રાજકોટ આવી જશે.
બીજી તરફ આ વાઈબ્રન્ટમાં ભાગ લેવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાનાં ચેરમેન વિપિનકુમાર (આઈ.એ.એસ.) પણ આવી રહ્યા છે અને તેમની સાથે ઓથોરિટીના અન્ય 15 જેટલા અધિકારીઓ પણ આવી રહ્યા છે. આ તમામ રેગ્યુલર ફ્લાઈટમાં હીરાસર એરપોર્ટ આવશે અને ત્યાંથી વાઈબ્રન્ટના સ્થળે જશે.
