- ગોંડલ ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં છાત્રનું ઝાડા- ઉલ્ટીથી મોત : બેદરકારીનો આક્ષેપ
- હોસ્ટેલ સંચાલક અને ક્લિનિકના તબીબે યોગ્ય સારવાર ન આપતા મોત થયાનો પરિવારનો આરોપ:રાજકોટ સિવિલમાં ફોરેન્સિક પીએમ કરાવાયુ
વોઇસ ઓફ ડે રાજકોટ
રક્ષાબંધનના દિવસે જ બે બહેનોએ એકલોતો ભાઈ ગુમાવતાં પરિવારમાં આકંદ છવાયો છે.જે બહેનો ભાઈને રાખડી બાંધવાની રાહ જોતી હતી.તે ભાઈનો ઘરે મૃતદેહ પહોંચ્યો હતો.ગોંડલ ધોળકીયા સ્કૂલમાં ભણતા 17 વર્ષીય શ્યામ પાઠકને ઝાડા- ઉલ્ટી થયા બાદ તેમનું ટૂંકી સારવારમાં મોત થયું હતું.જે અંગે હોસ્ટેલ સંચાલક અને ક્લિનિકના ડોકટર સામે પરિવારે આક્ષેપ કરતાં તેનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે.
વિગત મુજબ મુળ માળીયા હાટીના ખાતે રહેતા પરિવારનો પુત્ર શ્યામ લલિતભાઈ પાઠક (ઉ.વ.17) ગોંડલની ધોળકીયા સ્કૂલની હોસ્ટેલમાં રહી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે તેમના પરિવારને હોસ્ટેલ તરફથી જાણ કરાઈ હતી કે, તમારા પુત્ર શ્યામની તબિયત સારી નથી. તેને ઝાડા ઉલ્ટી થઈ ગયા છે.બપોરે શ્યામના માસીની બહેન ગોંડલમાં જ રહેતા હોઈ જે હોસ્ટેલ ખાતે આવી શ્યામને તેમના ઘરે લઈ ગયા હતા. રસ્તામાં શ્યામે જણાવ્યું હતું કે, તેમણે 4 દિવસથી કંઈ જ જમ્યુ નથી. 4 દિવસથી ઝાડા ઉલ્ટી છે. સવારે વધુ બીમાર પડતા હોસ્ટેલનો સ્ટાફ તેને ગુંદાળા રોડ પર આવેલી શ્રધ્ધા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.ત્યાં કેટલીક દવાઓ અને બાટલાઓ ચડાવ્યા હતા. ત્યાંથી હોસ્ટેલ પરત આવ્યા ત્યારે પણ પેટમાં ખૂબ દુ:ખતું હોવાથી હોસ્ટેલ દ્વારા ઘરે જાણ કરાઈ હોવાનું કહ્યું હતું.
શ્યામે બહેનના ઘરે પહોંચી કહ્યું હતું કે, તેને માત્ર દાળ- ભાત ખાવાની જ ડોકટરે સલાહ આપી છે. બહેનના ઘરે ફરી શ્યામની તબિયત લથડતા તેને શ્રધ્ધા હોસ્પિટલ લઇ ગયા. ડોક્ટર હાજર ન હોવાથી ત્યાં હોસ્પિટલના મેડિકલ સ્ટોરથી ડોક્ટરને ફોન કરતા ડોકટરે ઇનો અને બીજી દવા લેવાનું કહ્યું. છતાં તબિયત ન સુધરતા તેને મેડીકેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે ત્યાં શ્યામે અહી સારવારમાં દમ તોડી દેતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે માંગ કરાતા મૃતદેહ ને રાજકોટ ખસેડયો હતો.માળીયા હાટીનાથી શ્યામના માતા અને અન્ય પરીવાર ગોંડલ દોડી આવ્યો હતો. અને પરિવાર દ્વારા હોસ્ટેલના સંચાલક પર આક્ષેપ કર્યો હતો.કે,તેને સમયસર પરિવારને જાણ ન કરી હતી. જેથી તેની તબિયત વધુ બગડી હતી. અને તબીબે યોગ્ય સારવાર પણ આપી ન હતી.જેથી આ મામલે રિપોર્ટ બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવવાની છે.