દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા ભારત સરકારે અમલમાં મૂક્યું ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’
ગુજરાતના ખેડૂતોને પણ મળશે લાભ: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી
કૃષિ મંત્રી:
કપાસનું વાવેતર કરતા ખેડૂતોને આ મિશન હેઠળ મળશે હેક્ટર દીઠ રૂ. ૧૪,૦૦૦ સુધીની ઈનપુટ સહાય
રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા ૨૧ જિલ્લાના એક લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાંક
સહાય મેળવવા માટે ખેડૂતો આજથી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે
દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૩૦-૩૧ના સમયગાળા માટે મહત્વાકાંક્ષી “મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી” (કપાસ ક્રાંતિ મિશન) અમલમાં મૂકવામાં આવ્યું છે. આ મિશન હેઠળ આગામી પાંચ વર્ષ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવવા માટે ઈનપુટ સહાય આપવામાં આવશે, તેમ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર, દેશના કુલ કપાસ ઉત્પાદનમાં મહત્તમ ફાળા સાથે ગુજરાત હંમેશા અગ્રીમ હરોળમાં રહ્યું છે. જેથી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આધુનિક ખેત પદ્ધતિઓના સહારે ગુજરાતમાં કપાસના વાવેતરને હજુ પણ વધારવા માટે ચાલુ વર્ષે ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ હેઠળ ગુજરાતને રૂ. ૧૩૪.८૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા ૨૧ જિલ્લાના એક લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: બાગાયત ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ગુજરાતને મળ્યું બહુમાન
ખેડૂતોને કઈ પદ્ધતિ પર કેટલી સહાય મળશે?
મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અંતર્ગત કપાસના વાવેતરની પદ્ધતિના આધારે બે પ્રકારે સહાયની જોગવાઈ કરવામાં આવી છે.
• નિદર્શન ઘટક હેઠળ ‘ક્લોઝર સ્પેસિંગ ટેક્નોલોજી’ એટલે કે, ઓછા અંતરે વાવેતરની પદ્ધતિ અપનાવીને રાજ્યના જે ખેડૂત મિત્રોએ ચાલુ વર્ષે કપાસનું વાવેતર ૯૦ સેમી x ૩૦ સેમીના અંતરે કરેલું હોય, તેમને પ્રતિ હેક્ટર રૂ. ૧૪,૦૦૦/-ની ઈનપુટ સહાય મળશે.
• ‘ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ’ એટલે કે, સંકલિત પાક વ્યવસ્થાપનની વાવેતર પદ્ધતિ અપનાવીને જે ખેડૂતોએ ૯૦ સેમી x ૬૦ સેમીના અંતરે કપાસ વાવ્યો છે, તેમને પ્રતિ હેક્ટર રૂ. ૭,૫૦૦/-ની ઈનપુટ સહાય આપવામાં આવશે.
• આ યોજનાનો લાભ એક ખેડૂતને એક વર્ષમાં વધુમાં વધુ ૨ હેક્ટરની મર્યાદામાં જ મળી શકશે.
• આ મિશન હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતોએ સરકાર માન્ય કે પ્રમાણિત કરેલી કપાસની જાતો અથવા મંજૂર થયેલા બીટી કપાસ બિયારણનું વાવેતર કરેલું હોવું જોઈએ તેમજ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી પણ કરાવેલી હોવી જરૂરી છે.
• કપાસના વાવેતરમાં નવી પદ્ધતિ અપનાવીને રાજ્યના ખેડૂતો સારું ઉત્પાદન મેળવી શકે તે માટે વર્ષ દરમિયાન ખાસ તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
આ મિશન હેઠળ સહાય મેળવવા ઈચ્છુક અને પાત્ર ખેડૂત મિત્રો માટે આજ તા. ૧૦ જુલાઈ, ૨૦૨૬થી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ચાલુ સિઝનમાં રાજ્યના જે ખેડૂતોએ ૯૦ x ૩૦ સેમી. અથવા ૯૦ x ૬૦ સેમી.ના અંતરે કપાસનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂત મિત્રો તેમજ જે ખેડૂતોને હજુ વાવેતર કરવાનું બાકી છે અને ૯૦ x ૩૦ સેમી. અથવા ૯૦ x ૬૦ સેમી.ના અંતરે કપાસનું વાવેતર કરવા માંગે છે, તેવા ખેડૂત મિત્રોને સહાય મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
