કેશોદ એરપોર્ટ પર ૨૦૨૭ સુધીમાં એરબસ લેન્ડીગ થાય તે સરકારનો અભિગમ : કેન્દ્રિય મંત્રી ડૉ. માંડવિયા
કેન્દ્રિય મંત્રી ડૉ. માંડવિયાએ ઝડપી, પારદર્શક કામગીરી પર મૂક્યો ભાર
જૂનાગઢ ખાતે આજે પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયાએ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ પાસેથી પ્રગતિનો અહેવાલ મેળવ્યો હતો. તેમણે વિકાસ કાર્યો ગુણવત્તાસભર, પારદર્શક અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
બેઠક દરમિયાન ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે કેશોદ એરપોર્ટ પર વર્ષ ૨૦૨૭ સુધીમાં એરબસ અને કાર્ગો ફ્લાઇટનું સંચાલન શરૂ થાય તે સરકારનો અભિગમ છે. આ લક્ષ્યને સમયસર સિદ્ધ કરવા માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને કામગીરીમાં વધુ ઝડપ લાવવા તાકીદ કરી હતી.
આ પણ વાંચો: દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા ભારત સરકારે અમલમાં મૂક્યું ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’
તાજેતરમાં જૂનાગઢ પંથકમાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગે પણ તેમણે વિગતવાર માહિતી મેળવી હતી. સંભવિત કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના તમામ સંબંધિત વિભાગોને સતત સતર્ક રહી જરૂરી બચાવ અને રાહત કામગીરી માટે સજ્જ રહેવા સૂચના આપી હતી.
કેન્દ્રીય મંત્રીએ ખેડૂતો તથા સામાન્ય નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે અસરકારક આયોજન અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા અધિકારીઓને જણાવ્યું હતું. ઉપરાંત ઘેડ પંથકમાં હાથ ધરાયેલી વિવિધ કામગીરીની પણ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
