‘મહારાજ’ ફિલ્મ ટૂંક સમયમાં જ Netflix પર થશે રીલીઝ : ગુજરાત હાઇકોર્ટે આપી લીલીઝંડી
નેટફ્લિક્સની અપકમિંગ ફિલ્મ ‘મહારાજ’ રિલીઝ થયા પહેલા જ વિવાદના વંટોળમાં ફસાઇ છે. બોલિવૂડ એક્ટર આમિરખાનના પુત્ર જુનેદખાન મહારાજ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા હતા. જ્યારે ફિલ્મને લઈ વિવાદ વધ્યો હતો. પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના એક જૂથે હાઈકોર્ટમાં જઈને ફિલ્મની રિલીઝને રોકવાની વિનંતી કરતી અરજી દાખલ કરી હતી. ત્યારે આ મામલે હાઇકોર્ટે ‘મહારાજ’ ફિલ્મ પરથી સ્ટે હટાવ્યો છે. હાઈકોર્ટે ફિલ્મ જોઈ કહ્યું- ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી; નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ મૂવી રિલીઝ કરી શકશે.
ગુજરાત હાઈકોર્ટે મહારાજા ફિલ્મને મંજૂરી આપી દીધી છે. ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશે ગુરુવારે સાંજે ફિલ્મ જોઈ હતી અને આજે બપોરે થયેલી અંતિમ સુનાવણીમાં તેને મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે ફિલ્મમાં કંઈ વાંધાજનક નથી અને તેનાથી સંપ્રદાય પર કોઈ અસર નહીં થાય. આ ફિલ્મ 1862માં બનેલા મહારાજા બદનક્ષી કેસ પર આધારિત છે.
ફિલ્મને લઈને શું વિવાદ છે?
બ્રાહ્મણ અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ફિલ્મમાં સનાતન ધર્મ અને હિંદુ દેવી-દેવતાઓ વિરૂદ્ધ ઝેર ઓંકવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતાઓને ચેતાવણી આપવામાં આવી છે કે જો ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં નહી આવે તો દેશભરમાં હિંસક આંદોલન થશે. વિરોધ કરી રહેલા લોકોના અનુસાર ફિલ્મમાં સનાતન ધર્મ, શ્રીવલ્લાભાચાર્યજી અને ભગવાન શ્રીકૃષ્ણ વિરૂદ્ધ ઘણા સીન બતાવવામાં આવ્યા છે.
1862ના કેસ પર આધારીત છે ફિલ્મ
ફિલ્મ મહારાજ 1862ના માનહાનિ કેસની સત્ય ઘટનાથી પ્રેરિત છે, જે ‘મહારાજ લિબેલ કેસ’તરીકે ઓળખાય છે. આ ઘટનાને ભારતની સૌથી મહત્વપૂર્ણ કાયદાકીય લડાઇઓમાંથી એક ગણવામાં આવે છે.ફિલ્મમાં જુનૈદ ખાન અને જયદીપ અહલાવત મુખ્ય ભૂમિકામાં છે. જુનૈદ ખાન પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીની ભૂમિકા ભજવી રહ્યા છે. અહલાવત વલ્લભાચર્ય સંપ્રદાયના પ્રમુખોમાંથી એક જદુનાથજી બૃજરતનજી મહારાજની ભૂમિકા ભજવશે. આ કેસ ધાર્મિક નેતા બૃજરતનજી મહારાજના કથિત જાતીય દુરાચારને ઉજાગર કરવા માટે વાસ્તવિક જીવનના પત્રકાર કરસનદાસ મૂળજી વચ્ચે લડાઇ લડવામાં આવી હતી.
કોર્ટે હવે ફિલ્મને મંજૂરી આપી છે અને તેને રિલીઝ કરવાની મંજૂરી આપી છે. તેથી, યશ રાજ ફિલ્મ્સ અને નેટફ્લિક્સ ગમે ત્યારે ટૂંક સમયમાં સ્ટ્રીમિંગ શરૂ કરી શકે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત ‘મહારાજ’માં જુનૈદ ખાન સિવાય શર્વરી વાઘ, શાલિની પાંડે, જયદીપ અહલાવત પણ છે.
