સુરત : જાહેર રોડ પર ગૌવંશનું ઘડ મળી આવતા જૈન સમાજમાં ભારે રોષ, CCTVના આધારે તપાસ શરુ
- મનીભદ્ર એપાર્ટમેન્ટ નજીક સાધ્વીઓ વિચરણ કરે છે ત્યાં જ પશુ અંગ મળી આવતા ભારે ચકચાર
સુરતના પાલ વિસ્તારમાં વહેલી સવારે શંકાસ્પદ રીતે ગૌવંશનું ધડ મળી આવતા જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ઘટનાને લઈ જૈન મુનિઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ જતા દોડતી થયેલી પોલીસે તાત્કાલિક એફએસએલ ની મદદથી તપાસ હાથ ધરી હતી.અહીં મનીભદ્ર એપાર્ટમેન્ટ નજીક જૈન સમાજના સાધ્વીઓ વિચરણ કરે છે.અહિંસાવાદી વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવા માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે તેવું લાગી રહ્યું છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
આ ઘટનાના પગલે જૈન મુનીઓ સ્થળ પર જ બેસી ગયા હતા અને તાત્કાલિક ધોરણે ધાર્મિક આસ્થાને હાની પોંહચાડનારા તત્ત્વોને ઝડપી પાડી કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઘટના બાદ સ્થાનિક પોલીસ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ ની પણ તપાસ કરવામાં આવી હતી. જોકે જ્યાં સુધી આ પ્રકારનું કૃત્ય કરનારા નહીં ઝડપાય ત્યાં સુધી જગ્યા નહીં છોડવા માટેની ચીમકી જૈન મુનિઓ દ્વારા આપવામાં આવી હતી. પોલીસ દ્વારા જૈન મુનિઓને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જૈન સમાજના લોકોની એક જ માંગણી હતી કે જે કોઈ તત્વો દ્વારા આ દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે તેવા તત્વો ની ત્વરિત ધોરણે ધરપકડ કરવામાં આવે.
સુરત ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે,અડાજણ પોલીસને કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવી હતી કે કોઈક મૂંગા પ્રાણીનું કપાયેલું ધડ મળી આવ્યું છે.એફએસએલ ની ટીમને બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા છે.ઘટના ને લઈ જૈન મુનીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.જૈન મુનિ રાજ સુંદર વિજયજી મહારાજ સાહેબે ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડતા જણાવ્યું હતું કે,પશુનું ગળું કાપી અહીં મૂકવામાં આવ્યું છે તેવા સમાચાર મળતા હૃદય કંપી ઉઠ્યું છે.
છેલ્લા અઠવાડિયા થી જૈન સમાજ એક એક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે.એક સાધ્વીજીને પટ્ટે પટ્ટે મારવામાં આવે, આચાર્ય ભગવંતજીને ટ્રક નીચે કચડી નાખવામાં આવે,ભગવાનની પ્રતિમાને ટુકડા કરવામાં આવે છે અને પશુનું કપાયેલું ધડ મૂકી જવું આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે.આ પાલ નહિ પરંતુ પાલીતાણા છે, જ્યાં સંતો વિચરણ કરે છે.આ એક બદ ઇરાદો છે.જ્યાં જાણી જોઈને કોઈ સંપ્રદાય અને ધર્મને હાની પહોંચાડવાનો આ પ્રયાસ છે.જે કોઈપણ વ્યક્તિ બદ ઇરાદા સાથે આ પ્રકારનું કૃત્ય કરતો હોય તેની સામે કડક થી કડક કાર્યવાહી કરવામાં આવે.પોલીસ એ સીસીટીવી ફૂટેજ ના આધારે પણ અજાણ્યા ટીખળખોરો ની શોધખોળ શરૂ કરી છે.