સોલાર રુફટોફ લગાવનાર કમાયા ! PGVCL રૂ.65.58 કરોડ ચુકવશે
રાજ્યમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત સોલાર રુફટોફ લગાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે ત્યારે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ઘરનું વીજળી બિલ શૂન્ય કરવા માટે નવા 1,10,406 વીજગ્રાહકોએ સોલાર રુફટોફ લગાવતા હાલમાં પીજીવીસીએલ હેઠળ સોલાર ગ્રાહકોની સંખ્યા વધીને 2,91,487નો આંકડો પાર કરી ગઈ છે. PGVCL કોર્પોરેટ કચેરીના સત્તાવાર આંકડા મુજબ વર્ષ 2024-25માં PGVCL વીજ ગ્રાહકો પાસેથી 391.35 મીલીયન યુનિટ સોલાર પાવર ખરીદ્યો કર્યો છે જે પેટે ગ્રાહકોને રૂ.65.58 કરોડ ચુકવવામાં આવશે.
દેશમાં ગ્રીન એનર્જીનો વપરાશ વધે અને વીજ ગ્રાહકો સોલાર પાવર અપનાવીને વીજ ક્ષેત્રે આત્મનિર્ભર બને તેવા ઉમદા હેતુ સાથે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ સબસીડી સાથે વીજળી બિલને શૂન્ય કરવા માટેની યોજનાનો ગુજરાતમાં જબ્બર પ્રતિસાદ સાંપડયો છે અને સમગ્ર દેશમાં ગુજરાત મોખરે છે. ખાસ કરીને રાજ્યની તમામ વીજ કંપનીઓની તુલનામાં PGVCL પણ ટોચના સ્થાને છે ત્યારે વર્ષ 2024-25ના સોલાર રિફટાફ ગ્રાહકોએ કરેલ વીજ ઉત્પાદન અને તેઓને ચુકવવામાં આવનાર પેમેન્ટ અંગે PGVCL દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

PGVCLના સત્તાવાર આંકડા મુજબ વર્ષ 2024-25 દરમિયાન કુલ 2,91,487 ગ્રાહકો પાસેથી 391.35 મીલીયન યુનિટ સોલાર પાવરની ખરીદી કરવામાં આવેલ છે. જેમાં ગત વર્ષ 2023-24 ની સરખામણીએ સોલાર ગ્રાહકોની સંખ્યામાં 60.97 ટકા અને સોલાર પાવર ખરીદી અન્વયે ગ્રાહકોને પેમેન્ટની રકમમાં 57.55 ટકાનો અદભૂતપૂર્વ વધારો નોંધાયેલ છે. જે વીજ ગ્રાહકોની ગ્રીન એનેર્જી અપનાવીને પર્યાવરણ તરફથી જાગૃતતા દર્શાવે છે.પીજીવીસીએલ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન ખરીદ કરવામાં આવેલ વીજળી અન્વયે રૂ. 65.58 કરોડનું પેમેન્ટ ટૂંક સમયમાં જ ચુકવવામાં આવશે.